ભારત-ફ્રાન્સ સંબંધોમાં નવો અધ્યાય: પેરિસમાં ભવ્ય હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરતા PM મોદીએ કહી મોટી વાત
ફ્રાન્સની સુંદર અને ઐતિહાસિક રાજધાની પેરિસમાં ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાનો એક નવો અને ભવ્ય ઉદય થયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પેરિસમાં નવનિર્મિત, ભવ્ય સ્વામિનારાયણ મંદિરનું ઉદ્ઘાટન કર્યું છે. આ પવિત્ર ઉદ્ઘાટન સમારોહને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધતા, પીએમ મોદીએ જણાવ્યું હતું કે ફ્રાન્સની ભૂમિ પર સ્થાપિત આ દૈવી મંદિર ભારત અને ફ્રાન્સ વચ્ચેના અતૂટ સહયોગ, સાંસ્કૃતિક ભાગીદારી અને સહિયારા તકોના મુખ્ય પ્રતીક તરીકે લાંબા સમય સુધી ટકી રહેશે.
આ ઐતિહાસિક પ્રસંગે બંને રાષ્ટ્રો વચ્ચેના સ્થાયી સંબંધો પર પ્રતિબિંબ પાડતા, પ્રધાનમંત્રી મોદીએ નોંધ્યું કે ભારત અને ફ્રાન્સ વચ્ચેના સંબંધો આજે નવી ઊંચાઈઓ સર કરી રહ્યા છે. તેમના મિત્ર, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનનો ઉલ્લેખ કરતા, તેમણે કહ્યું કે સાથે મળીને, બંને રાષ્ટ્રો તેમની વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીને નવી દિશામાં લઈ જઈ રહ્યા છે.

ટેક્નોલોજીથી લઈને સ્પેસ સુધી વધતી ભાગીદારી
પોતાના સંબોધનમાં PM મોદીએ વર્તમાન વૈશ્વિક દૃશ્યનો ઉલ્લેખ કરતા કહ્યું કે આજે ભારત અને ફ્રાન્સ માત્ર સાંસ્કૃતિક દૃષ્ટિએ જ નહીં, પરંતુ આધુનિક વિજ્ઞાન અને ટેક્નોલોજીના મોરચે પણ સાથે મળીને આગળ વધી રહ્યા છે. ટેક્નોલોજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), રક્ષા ક્ષેત્ર, અવકાશ સંશોધન અને આબોહવા પરિવર્તન (ક્લાઇમેટ એક્શન) જેવા તમામ મહત્ત્વપૂર્ણ ક્ષેત્રોમાં બંને દેશો એક નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યા છે.
વડાપ્રધાને વધુમાં જણાવ્યું, “આપણે વર્ષ 2026ને ‘ભારત-ફ્રાન્સ ઇનોવેશન યર’ (નવાચાર વર્ષ) તરીકે ઉજવી રહ્યા છીએ. આપણી આ વ્યૂહાત્મક ભાગીદારી એટલા માટે પણ ખાસ છે કારણ કે તે હવાઈ વાતો પર નહીં, પરંતુ આપણા સદીઓ જૂના સાંસ્કૃતિક અને રાજકીય સંબંધોના અત્યંત મજબૂત પાયા પર ટકેલી છે.”
ઇતિહાસના પાનાઓમાં નોંધાયેલ છે ભારતીય સૈનિકોનું બલિદાન
વડાપ્રધાન મોદીએ ઇતિહાસના પાનાઓ ફેરવતા તે ભારતીય સૈનિકોને પણ યાદ કર્યા જેમણે ફ્રાન્સની ધરતી માટે સર્વોચ્ચ બલિદાન આપ્યું હતું. તેમણે કહ્યું કે ઇતિહાસ આ વાતનો સાક્ષી છે કે ફ્રાન્સમાં ભારતીય સૈનિકોના શૌર્ય અને બલિદાનની યાદો આજે પણ સ્થાનિક લોકોના હિલયોમાં જીવંત છે.
સાહિત્ય અને ભાષાનો ઉલ્લેખ કરતા PM મોદીએ કહ્યું કે ભાષા પ્રેમીઓને આ વાત સારી રીતે ખબર છે કે પ્રાચીન ભારતીય ભાષા સંસ્કૃતને વૈશ્વિક સ્તરે લોકપ્રિય બનાવવામાં ફ્રેન્ચ વિદ્વાનો અને વિચારકોએ ખૂબ જ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત, મહાન લેખક રોમાં રોલાં દ્વારા ભગવાન રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદના જીવન પર લખાયેલા કાર્યોએ ભારત અને ફ્રાન્સના સમાજોને વૈચારિક રીતે વધુ નજીક લાવવાનું અદ્ભુત કામ કર્યું હતું.
આધ્યાત્મથી લઈને યોગ સુધી જોડાયેલું છે ગાઢ નાતો
પેરીસથી લઈને ભારતના પુડુચેરી સુધીની સફરને યાદ કરતા PM મોદીએ જણાવ્યું કે પુડુચેરી સ્થિત શ્રી અરવિંદ આશ્રમ સુધીની ‘ધ મધર’ની આધ્યાત્મિક યાત્રાએ બંને દેશોના અસંખ્ય સાધકોને હંમેશાં પ્રેરણા આપી છે. આ ઉપરાંત, દાયકાઓ પહેલાં જ્યારે શ્રીલ પ્રભુપાદ સ્વામી ફ્રાન્સ આવ્યા હતા, ત્યારે ઇસ્કોન (ISKCON)ના માધ્યમથી બંને દેશો વચ્ચેના આધ્યાત્મિક સંબંધોનો એક તદ્દન નવો અધ્યાય શરૂ થયો હતો.
આજના સમયનો ઉલ્લેખ કરતા વડાપ્રધાને કહ્યું કે યોગ આજે માત્ર ભારત પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે ફ્રાન્સના સામાન્ય લોકોના જીવનનો પણ એક મહત્ત્વપૂર્ણ ભાગ બની ગયો છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસર પર પેરીસના આઇકોનિક એફિલ ટાવર પાસેથી સામે આવતી યોગ કરતી તસવીરો આ વાતનો પુરાવો છે કે ફ્રાન્સમાં ભારતીય યોગની લોકપ્રિયતા કેટલી અસીમ છે.
