જમ્યા પછી પણ ભૂખ કેમ લાગે છે? શરીરમાં દેખાતા આ ૬ લક્ષણોને સામાન્ય માનવાની ભૂલ ન કરતા!
અવારનવાર પેશાબ થવો કે શરીર પર થયેલા ઘા રૂઝાવામાં વાર લાગવી, આપણું શરીર બ્લડ સુગર (લોહીમાં શર્કરાનું પ્રમાણ) વધવાના ઘણા સંકેતો આપે છે. જોકે, શરૂઆતમાં આ લક્ષણો એટલા સામાન્ય હોય છે કે લોકો તેને કોઈ ગંભીર બીમારી ગણવાની ભૂલ નથી કરતા. યુએસ-બોર્ડ સર્ટિફાઇડ ઓન્કોલોજિસ્ટ ડૉ. રવિ કે. ગુપ્તાએ સોશિયલ મીડિયા પર એક વિશેષ માહિતી શેર કરતાં જણાવ્યું છે કે, જ્યારે શરીરમાં બ્લડ સુગર વધવાનું શરૂ થાય છે ત્યારે આપણું શરીર કેવા પ્રારંભિક સંકેતો આપે છે.
ડૉ. ગુપ્તા જણાવે છે કે, “તમારી તબિયત લથડે અથવા તો તમને કંઈ ગરબડ લાગે તે પહેલાં જ તમારું બ્લડ સુગર લાંબા સમય સુધી ઊંચું રહી શકે છે. સતત તરસ લાગવી, વારંવાર ભૂખ લાગવી, દ્રષ્ટિ ઝાંખી થવી, રૂઝ ન આવવી કે વારંવાર ચેપ (ઇન્ફેક્શન) થવો એ આના મુખ્ય સંકેતો હોઈ શકે છે. પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે, ક્યારેક શરીરમાં એકપણ લક્ષણ દેખાતું નથી! એટલા માટે જ સમયાંતરે ડાયાબિટીસની તપાસ કરાવવી અને તમારા આંકડા જાણી લેવા ખૂબ જરૂરી છે.”

સતત તરસ લાગવી અને વારંવાર પેશાબ જવું
ડૉ. ગુપ્તાના જણાવ્યા મુજબ, જ્યારે લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ ઘણું વધી જાય છે, ત્યારે આપણા કિડની (વૃક્ક) પેશાબ મારફતે વધારાના ગ્લુકોઝને બહાર કાઢવાનો પ્રયાસ કરે છે. આ પ્રક્રિયા દરમિયાન ગ્લુકોઝની સાથે શરીરનું પાણી પણ ખેંચાઈને બહાર નીકળી જાય છે. પરિણામે, વ્યક્તિને વારંવાર પેશાબ કરવા જવું પડે છે અને શરીરમાં પાણી ઘટી જતાં સતત તરસ લાગ્યા કરે છે. પાણી પીધા પછી પણ તરસ છિપાતી નથી.
પેટ ભરીને જમ્યા પછી પણ ભૂખ લાગવી અને થાક અનુભવવો
જો તમને જમ્યાના થોડા જ સમય પછી પાછી ભૂખ લાગવા મંડે, તો તે બ્લડ સુગર વધવાનું લક્ષણ હોઈ શકે છે. બ્લડ સુગર વધુ હોવાનો અર્થ એ છે કે ગ્લુકોઝ તમારા લોહીના પ્રવાહમાં તો હાજર છે, પરંતુ તમારા શરીરના કોષો (સેલ્સ) તેનો ઉર્જા તરીકે કાર્યક્ષમ રીતે ઉપયોગ કરી શકતા નથી. પરિણામે, કોષો ભૂખ્યા રહે છે અને મગજને ખોરાકના સંકેતો મોકલે છે. આ કારણે મીઠાઈ કે કાર્બોહાઈડ્રેટ્સ ખાવાની ઈચ્છા (ક્રેવિંગ્સ) વધે છે અને લોહીમાં સુગર હોવા છતાં વ્યક્તિ સતત થાક અને નબળાઈ અનુભવે છે.
ઘા કે વાગેલું રૂઝાવામાં વધુ સમય લાગવો
લાંબા સમય સુધી લોહીમાં શર્કરાનું ઊંચું પ્રમાણ રહેવાને કારણે રક્તવાહિનીઓ, રક્ત પરિભ્રમણ અને શરીરની રોગ પ્રતિકારક શક્તિ (ઇમ્યુનિટી) પર વિપરીત અસર પડે છે. લોહીનું પરિભ્રમણ ધીમું પડવાથી ઘા સુધી જરૂરી પોષક તત્વો પહોંચી શકતા નથી. જો તમને વાગેલા નાના-મોટા ઘા કે છોલાયેલા નિશાન સામાન્ય કરતાં વધુ સમય લેતા હોય અથવા રૂઝાતા ન હોય, તો વિલંબ કર્યા વગર સુગર ટેસ્ટ કરાવી લેવો હિતાવહ છે.
આંખોની દ્રષ્ટિ અચાનક ઝાંખી થવી
હાઈ ગ્લુકોઝને કારણે આંખના લેન્સની અંદરના પ્રવાહીના સ્તરમાં અસ્થાયી રૂપે ફેરફાર થઈ શકે છે. આ ફેરફારને કારણે લેન્સનો આકાર બદલાય છે અને દ્રષ્ટિમાં ઉતાર-ચઢાવ આવે છે. જો તમારી આંખોની દ્રષ્ટિ અચાનક ઝાંખી થઈ જાય, તો તેને માત્ર સ્ક્રીન ટાઈમ (મોબાઈલ કે લેપટોપનો વપરાશ) વધી ગયાનું કારણ માનીને અણગણશો નહીં. આ તમારું શરીર બ્લડ સુગર વધી ગયાનો સંકેત આપી રહ્યું હોઈ શકે છે.

વારંવાર ઇન્ફેક્શન (ચેપ) નો ભોગ બનવું
લોહીમાં ગ્લુકોઝનું ઊંચું પ્રમાણ કેટલાક બેક્ટેરિયા અને ફંગસ માટે સાનુકૂળ વાતાવરણ પૂરું પાડે છે. આ કારણે વારંવાર પેશાબનો ચેપ (UTI), ત્વચાના ઇન્ફેક્શન તેમજ ફંગલ ઇન્ફેક્શન થવાનું જોખમ વધી જાય છે. ડૉ. ગુપ્તા અનુસાર, જો તમને કોઈ ચોક્કસ ઇન્ફેક્શન વારંવાર થતું હોય, તો તબીબી તપાસ કરાવવી અત્યંત જરૂરી છે.
વજન એ જ રહે પણ કમરનો ઘેરાવ વધવો
ડૉ. ગુપ્તા એક મહત્વની બાબત તરફ ધ્યાન દોરે છે કે, પેટના ભાગે ચરબી (એબ્ડોમિનલ ફેટ) વધવી એ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ (Insulin Resistance) સાથે સીધી રીતે જોડાયેલી છે. ખાસ કરીને દક્ષિણ એશિયાઈ (ભારતીય) લોકોમાં, ઓછા BMI પર પણ મેટાબોલિક જોખમો દેખાવા લાગે છે. બની શકે કે તમારું એકંદર વજન સ્થિર રહે, પરંતુ કમરની સાઈઝ વધવા લાગે અને જૂના કપડાં ટાઈટ થવા લાગે. અરીસો કદાચ આ ફેરફાર તરત ન બતાવે, પરંતુ તમારું મેટાબોલિઝમ તેને ઓળખી લે છે.
