અમદાવાદમાં મહિલાઓ વિરુદ્ધ પારિવારિકે અત્યાચાર વધી રહ્યા છે દહેજ અને કરિયાવર સહિત પતિના આડાસંબંધોને કારણે મહિલાઓની પોલીસ સ્ટેશનમાં ફરિયાદો પણ વધવા માંડી છે. શહેરમાં ડોક્ટર મહિલાએ તેના પતિ અને સાસરિયાં વિરુદ્ધ ફરિયાદમાં જણાવ્યું છે કે તેનો પતિ તેને ઘરમાંથી બહાર નીકળી જવાનું કહે છે અને નહીં નીકળે તો જાનથી મારી નાખવાની ધમકી આપી રહ્યો છે. તેનાં સાસરિયાં પણ તેને પસંદ કરતાં નથી અને વારંવાર મહેણાંટોણાં માર્યાં કરે છે. મહિલાએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
અમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ પ્રમાણે ડોક્ટરનો વ્યવસાય કરતી મહિલાના 2019માં સામાજિક રીતરિવાજ મુજબ લગ્ન થયા હતા. લગ્ન બાદ ચાંદખેડા વિસ્તારમાં તેનાં સાસરિયાં સાથે રહેતી હતી. શરૂઆતમાં તેને સારી રીતે રાખતા હતા પરંતુ લગ્નના થોડા સમય બાદ સાસુ અને સસરાએ તેની સાથે નાની નાની બાબતોમાં ઝગડા કરવાનું શરૂ કર્યું હતું. તેની સાસુની આવેશમાં આવીને તેનો પતિ તેની સાથે મારઝૂડ કરતો હતો.
ઘરમાં કામકાજને લઈને સાસુ અવારનવાર અભદ્ર શબ્દ બોલતાં અને તેની ફરિયાદ સસરાને કરતાં તેઓ પણ મહિલા સાથે ઝગડો કરતા હતા. આ બાબતે સસરાના મોટા ભાઈને મહિલાએ વાત કરતાં તેઓ પણ મહેણાંટોણાં મારીને મહિલા સાથે વારંવાર ઝગડો કરતા હતા. સસરાના મોટા ભાઈ મહિલાને વારંવાર એવું કહેતા હતા કે તારા પપ્પાએ અમારે ત્યાં લગ્નની પહેલા ના પાડી હતી, પરંતુ તારે છેવટે અમારા ઘરમાં જ આવવું પડ્યું. આ બાબતે મહિલાનાં સાસુ અને સસરા પણ પતિને લગ્ન સંબંધ તોડી નાખવા માટે ચઢામણી કરતાં અને પતિ તેમની વાતોમાં આવીને પત્ની સાથે અત્યાચાર કરતો હતો.
સાસુ-સસરાની ચઢામણીમાં આવીને પતિ તેની પત્નીને વારંવાર કહેતો કે તું મારા ઘરમાંથી નીકળી જા, નહીં નીકળે તો તને જાનથી મારી નાખીશ. આટલેથી નહીં અટકતાં સાસુ અને સસરા સહિત નણંદ પણ વારંવાર મહિલાને ગંદી ગાળો બોલીને માર મારતાં હતાં. આ બાબતે મહિલાએ તેના પિતાને જણાવી હતી, પરંતુ પિતાએ દીકરીનું ઘર ન બગડે તે માટે સમાધાનનું વલણ અપનાવ્યું હતું, જેથી મહિલા ચુપચાપ મોઢે બધું જ સહન કરતી હતી. મહિલાએ સાસરી પક્ષના કહેવાથી નોકરી અને ક્લિનિક પણ બંધ કરી દીધું હતું.