અમદાવાદ: શહેરમાં રહેતી એક યુવતીને સાસરામાં બનતા અણબનાવને દૂર કરવા ઇન્સ્ટાગ્રામ પરથી જ્યોતિષ શોધવો ભારે પડ્યો છે. યુવતીએ જે જ્યોતિષ સાથે સંપર્ક કર્યો તેણે વિધિનાં નામે પૈસા પડાવ્યા બાદમાં દાગીના પર મેલી વિદ્યા થઈ હોવાનું જણાવી દાગીના પણ પડાવ્યા હતા. સમગ્ર બાબતમાં ઠગાઈ હોવાનું સામે આવતા હવે નરોડા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.20 વર્ષીય યુવતી નરોડા માં તેના પરિવાર સાથે રહે છે. વર્ષ 2021 ના ફેબ્રુઆરી માસમાં જ આ યુવતીના જુહાપુરા ખાતે રહેતા યુવક સાથે લગ્ન થયા હતા. લગ્નના છ જ માસમાં યુવતીને સાસરે અણ બનાવ બન્યો હતો. જેથી બધુ સારું થઈ જાય અને અણ બનાવ દૂર થઈ જાય એ માટે તેણે ઇન્સ્ટાગ્રામ પર અમરદીપ જ્યોતિષ નામના આઈડી ઓર મેસેજ રિકવેસ્ટ મોકલી હતી. બાદમાં આ એકાઉન્ટ ફોન નંબર આપતા યુવતીએ ફોન કર્યો તો તેણે પોતાનું નામ વિશાલ કહ્યું હતું. અને આ વિધિ કરવા 12 હજાર થશે તેવું જણાવ્યું હતું.
યુવતીએ પોતાની પાસે માત્ર 7 હજાર હોવાનું જણાવતા આ શખ્શે મારો માણસ લેવા આવશે કહીને વિધિ શરૂ કરી દઈશું તમારું કામ પૂરું થઈ જશે તેવું જણાવ્યું હતું. બાદમાં યુવતી આ વિશાલે કહ્યા મુજબ નરોડા ગઈ હતી અને ત્યાં સફેદ માસ્ક પહેરીને ઉભેલા વ્યક્તિને પૈસા આપી કોંફરન્સમાં વાત કરી હતી. બાદમાં આ ગઠીયાએ યુવતીને ફરી ફોન કર્યો અને કહ્યું કે તેના ઘરેણાં પર મેલી વિદ્યા થઈ છે જેથી તેની વિધિ કરવી પડશેને ઘરેણાં આપવા પડશે. જેથી યુવતીએ ફરી નરોડા જઈને જે રૂપિયા લેવા વ્યક્તિ આવ્યો હતો તેને જ ઘરેણાં આપ્યા હતા. બાદમાં વિધિ નિષ્ફળ ગઈ છે કહીને બીજા 35 હજાર માંગ્યા હતા.ત્યાર બાદ યુવતીએ મની ટ્રાન્સફરની ઓફિસ જઈ આ રૂપિયા આપ્યા હતાં. પણ તેને વિધિ ન કરી આપી કે પૈસા પણ પરત ન આપ્યાં. વિશાલ નામનાં વ્યક્તિએ ઠગાઈ આચરી હોવાનું જણાતા તેણે નરોડા પોલીસનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવતા હવે પોલીસે તપાસ શરૂ કરી છે.