અમદાવાદમાં હવે શહેરમાં માત્ર 10 મહિનામાં જ બે દંપતી સહિત 6 સિનિયર સિટિઝનનાં મર્ડર થઈ ચૂક્યા છે. ત્યારે આજે વધુ એક સિનિયર સિટીઝન એવા ડોક્ટર પર હુમલો થયો છે. 2 નવેમ્બરે ઘાટલોડિયા સિનિયર સિટીઝન દંપતીની હત્યા થઈ હતી. જેના આરોપીઓને સ્થાનિક પોલીસ પકડી શકી નહીં અને ક્રાઇમ બ્રાન્ચે કેસમાં ઝંપલાવીને આરોપીને ઝડપી લીધા હતા. ઘાટલોડિયામાં મોર્નિંગ વોક પર નીકળેલા ડોક્ટર કનુભાઈ પ્રજાપતિ નામના વૃદ્ધ પર અજાણ્યા બાઇક સવારો હુમલો કરીને નાશી ગયા હતા. આ સંદર્ભે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.હુમલાનો ભોગ બનેલા 75 વર્ષીય કનુભાઈ પ્રજાપતિ જુનાવાડજ પાસે હોસ્પિટલ ચલાવે છે. તેઓ દરરોજ પોતાના ઘર પાસે આવેલા મેમનગર તળાવ અને બગીચામાં મોર્નિગ વોક કરવા જાય છે. થોડા સમય પહેલા તેઓ રોજની જેમ સવારે ગાર્ડનમાં મોર્નિગ વોક અને યોગા કરવા ગયા હતા અને ત્યાંથી પાછા આવી રહ્યા હતા, તે સમયે યામહા બાઇક પર બેઠેલા બે શખ્સો તેમની નજીક આવ્યા અને તેમને હાથ પર દંડો ફટકાર્યો હતો. જેથી તેમને ઇજા થઇ હતી. આ કોઈ ઓળખી ન શકે તે માટે હુમલખોરોએ મોં પર રૂમાલ બાંધ્યો હતો. તેમજ તેઓ ફૂલ સ્પીડમાં બાઇક લઈને જતા હોવાથી તેનો બાઇક નંબરજાણી શકાયો ન હતો. આ અંગે કનુભાઈએ ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ફેબ્રુઆરી 2021માં શહેરના વેજલપુરમાં 80 વર્ષનાં વૃદ્ધા મેનાબેન ઠાકોરની માથામાં બોથડ પદાર્થના ઘા મારી હત્યા કરવામાં આવી હતી. એકલવાયું જીવન જીવતા વૃદ્ધા બે દિવસથી બહાર દેખાયા નહોતાં, જેથી ભાડૂઆતે જોતાં સમગ્ર હકીકત બહાર આવી હતી. તેમણે વૃદ્ધાના દીકરાને જાણ કરી હતી તેમજ મૃતદેહ પરથી ઘરેણાં પણ ગાયબ હતાં.શહેરના સોલા વિસ્તારમાં શાંતિવન પેલેસના 2 નંબરના બંગલોમાં સવારમાં લૂંટવાના ઈરાદે બે સિનિયર સિટિઝન એવાં અશોક પટેલ અને જ્યોત્સ્નાબેન પટેલ નામના દંપતીની 4 લૂંટારા દ્વારા ઘાતકી હત્યા કરવામાં આવી હતી. અશોકભાઈ અને જ્યોત્સ્નાબહેનના બંગલામાં ઘૂસી આવેલા 4 લૂંટારા બંનેની ગળાં કાપી હત્યા કરી ઘરમાંથી રોકડા રૂ.50 હજાર અને દાગીના લૂંટીને ભાગી ગયા હતા. ત્યાર બાદ હત્યારાઓને પકડવા ક્રાઇમ બ્રાંચની ટીમોએ 200 કરતાં પણ વધારે સીસીટીવી ચેક કર્યા હતા, જેમાં આરોપીઓ ઓળખાઈ ગયા હતા. અશોકભાઈ અને જ્યોત્સ્નાબહેનની હત્યા કર્યા બાદ ચારેય આરોપી મધ્યપ્રદેશના ગ્વાલિયરના ગિઝોરા ખાતે ભાગી ગયા હતા.
ક્રાઇમ બ્રાંચની 3થી 4 ટીમ ગિઝોરા પહોંચી હતી, જ્યાં સ્થાનિક ક્રાઇમ બ્રાંચની મદદથી આરોપીઓને પકડવા વોચ ગોઠવી હતી, જેમાં રાતે એક આરોપીને પોલીસે ઝડપી લીધો હતો. ત્યાર બાદ તેણે આપેલી માહિતીના આધારે અન્ય 4 સાગરીતને પણ પોલીસે ઝડપી લીધા હતા. ચારેય પાસેથી પોલીસે લૂંટના પૈસા તેમજ જ્યોત્સ્નાબહેનના દાગીના અને હત્યા કરવા માટે વાપરેલાં ચપ્પુ તેમ જ 2 બાઇક સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
દિવાળીના બે દિવસ પહેલાં એટલે કે 2 નવેમ્બરના રોજ અમદાવાદના ઘાટલોડિયામાં સિનિયર સિટિઝનની લૂંટના ઇરાદે હત્યા થઈ હોવાની ચકચારી ઘટના પ્રકાશમાં આવી હતી. ઘાટલોડિયાના પારસમણિ એપાર્ટમેન્ટમાં દયાનંદ સુબરાવ અને તેમનાં પત્ની વિજયાલક્ષ્મી એકલા રહેતાં હતાં. ઘરમાં વૃદ્ધ દંપતી એકલું હતું ત્યારે અજાણ્યા શખસો ઘૂસી આવ્યા હતા, જેમણે લૂંટના ઇરાદે તેમના પર હુમલો કરી દીધો હતો, જેમાં વૃદ્ધ દંપતીનાં મોત નીપજ્યાં હતાં. આ બનાવની જાણ રહી રહીને થતાં પોલીસે આરોપીને પકડવા માટે પ્રયાસ શરૂ કર્યા હતા. જોકે પોલીસ તપાસમાં લૂંટ ન થઈ હોવાનું બહાર આવ્યું હતું. ત્યાર બાદ મર્ડર મિસ્ટ્રીને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઉકેલી હતી.ક્રાઈમ બ્રાન્ચના હાથે ઝડપાયેલા બે આરોપી મુકુટ અને ઈમને પોલીસને જણાવ્યું હતું કે હત્યાની રાત્રે તેઓ સોસાયટીમાં ફરી રહ્યા હતા. તેમને એવું હતું કે દિવાળીના તહેવારમાં કોઈ ઘર એવું મળી જશેજેની કિંમત ઓછી હશે. તેઓ જ્યારે વૃદ્ધ દંપતીના બ્લોક પાસે પહોંચ્યા ત્યારે ઉપરના માળે અવાજ આવતો હતો. થોડીવાર રહીને તેઓ એક ઘરમાં ઘૂસીને કીમતી વસ્તુઓ શોધી રહ્યા હતા. આ દરમિયાન વૃદ્ધ દંપતીએ અવાજ કરતાં જ તેમને મોતને ઘાટ ઉતાર્યા ત્યાર બા દભીડ વિસ્તાર હોવાથી તેઓ ડરીને ત્યાંથી ભાગી ગયા હતાં. આરોપીઓનો મુખ્ય ઉદ્દેશ લૂંટવાનો હતો પણ વૃદ્ધ દંપતી બૂમો પાડશે અને તેઓ પકડાઈ જશે એવા ડરથી હત્યાને અંજામ આપ્યો હતો.17 નવેમ્બર,2021ના રોજ સાબરમતી વિસ્તારમાં હત્યારાએ ઘરમાં ઘૂસી 62 વર્ષના દેવેન્દ્ર રાવતનું ગળું કાપી હત્યા કરી છે. ત્યાર બાદ ઘરમાંથી સોનાની ચેન, મોબાઈલ તેમજ બાઈક પણ ગાયબ હતાં. આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી.રાજ્ય સરકારે માર્ચ, 2021માં વિધાનસભામાં રજૂ કરેલા આંકડાઓમાં મેટ્રોસિટી તરીકે જાણીતા અમદાવાદમાં જ સિનિયર સિટિઝનો પર વર્ષ 2020માં 41 હુમલાની ઘટનાઓ બની હોવાનું જણાવ્યું છે. આ જ પ્રમાણે, અમદાવાદ ગ્રામ્યમાંય સિનિયર સિટિઝન્સ પર હુમલો થવાની 12 ઘટના સામેઆવી છે