અમદાવાદને હવે ગણતરીના દિવસોમાં જ એક નવો નજારો મળશે. આપણાં અમદાવાદનો નજારો એટલે કે સાબરમતી નદી પર બાંધવામાં આવેલો આઈકોનિક ફૂટ ઓવરબ્રિજ. આ ફૂટ ઓવરબ્રિજનું લગભગ 95%થી વધુ કામ સંપૂર્ણ થઈ ચૂક્યું છે.આ બ્રિજની અંદરનો નજારો બતાવશે. બ્રિજ પરથી દેખાતો સાબરમતી નદીનો પટ પર જૂના અને નવા શહેરને જોડતા બ્રિજ તથા બન્ને કાંઠે વસેલા આસપાસના વિસ્તારો સૌકોઈને રોમાંચિત કરી દેશે આ બ્રિજ 300 મીટર લાંબો અને 14 મીટર પહોળો છે, જેનો વચ્ચેનો સ્પાન પણ 100 મીટર છે. આ મહાકાય ફૂટ ઓવરબ્રિજ RCC પાઇલ ફાઉન્ડેશન અને સ્ટીલ સપોર્ટ પર છે. બ્રિજના બાંધકામમાં 2,100 મેટ્રિક ટન લોખંડનો ઉપયોગ થયો છે. ફૂટ ઓવરબ્રિજ પર RCC ફલોરિંગ, પ્લાન્ટર તથા સ્ટેઈનલેસ સ્ટીલ અને ગ્લાસની રેલિંગ હશે. છેડાના ભાગે બન્ને બાજુ પતંગ આકારના સ્કલ્પ્ચર મૂકવામાં આવશે. ડ્રોન કેમેરાની નજરે આ બ્રિજ એક મહાકાય માછલીની અનુભૂતિ કરાવે છે.
આ બ્રિજ પર કલર ચેન્જ થઈ શકે એવી ડાઈનેમિક એલઈડી લાઈટ પણ લગાવાશે, જેને કારણે રાતના અંધકારમાં પણ બ્રિજ શહેરની શોભા વધારશે ફૂટ ઓવરબ્રિજની વચ્ચેના ભાગે 10 મીટરથી 14 મીટરની પહોળાઈમાં મુલાકાતીઓ માટે બેસવા માટેના બાકડા હશે. બેઠક વ્યવસ્થા આસપાસ ચંપો, લોન અને ગ્રાસનું પ્લાન્ટેશન કરાશે. અહીંથી નદી અને કાંઠાના વિસ્તારોનો મનોરમ્ય નજારો માણી શકાશે, સાથે સાથે અહીં આર્ટ કલ્ચર ગેલરી પણ બનાવવામાં આવશે. એટલું જ નહીં, બ્રિજ પર ખાણીપીણીના સ્ટોલ પણ ઊભા કરવામાં આવશે. ફૂટ ઓવરબ્રિજના પશ્ચિમ તથા પૂર્વના છેડા પર મલ્ટીલેવલ કાર પાર્કિંગની વ્યવસ્થા પણ વ્યવસ્થા હશે. બ્રિજના બન્ને છેડેથી મુલાકાતીઓ અને સાઈક્લિસ્ટો આવનજાવન કરી શકશે
સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ, એટલે કે SRFDCL દ્વારા 21 માર્ચ 2018ના રોજ આ પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવ્યો હતો. એ સમયે રૂ. 74 કરોડના ખર્ચનો અંદાજ હતો. જોકે બ્રિજ તૈયાર થતો ખર્ચ રૂ. 90 કરોડને પાર કરી જાય એવી શક્યતા છે.બ્રિજની ડેકોરેટિવ થીમ એક મોટી ચેલેન્જ હતીફૂટ ઓવરબ્રિજને રિવરફ્રન્ટની બંને બાજુએ વોક-વેના બે લેવલ સાથે જોડવામાં આવશે, જેથી ઉપર અને નીચે બંને તરફ આસાનીથી જઈ શકાય. પતંગની ડિઝાઈનવાળી બ્રિજની ડેકોરેટિવ થીમ એટલી આસાન ન હતી. આમ છતાં એન્જિનિયર્સની કમાલને કારણે આ શક્ય બન્યું છે.300 મીટર લાંબા આ ઓવરબ્રિજમાં અત્યારે RCCના સ્લેબ ભરવાનું કામકાજ લગભગ પૂરું થવાને આરે છે, સાથે સાથે અહીં ટાઈલ્સ, વેલ્ડિંગ, કલર સહિત લાઈટિંગનાં કામ ચાલી રહ્યાં છે. આ મહિનામાં જ આ બધાં કામ પૂર્ણ થઈ જશે. આગામી મહિને પતંગ મહોત્સવ સુધીમાં ફૂટ ઓવરબ્રિજ ખુલ્લો મૂકવામાં આવે એવી શક્યતા છે.