મુંબઈમાં પબની ઘટનાને હજી સુધી લોકો ભૂલી શક્યા નથી, ત્યારે વધુ એક ઈમારતમાં આગ લાગવાથી 4 લોકોના મોત થયા છે. ગુરુવારે મોડી રાત્રે મુંબઈના મરોલ વિસ્તારમાં એક રહેવાસી બિલ્ડિંગમાં આગ લાગી હતી. જેમાં 4 લોકોના મોત થયા છે અને 7 લોકો ઘાયલ થયા છે. જોકે, આગ પર કાબૂ મેળવી લેવાયો છે. ગત રાત્રે મુંબઈના મરોલ વિસ્તારની મૈમૂન મંજિલ નામની એક રહેવાસી ઈમારતના ત્રીજા માળે આગ લાગી હતી. ઘટના મોડી રાત્રે અંદાજે દોઢ વાગે બની હતી. ફાયરબ્રિગેડની 8 ગાડીઓ તાત્કાલિક અહી દોડાવાઈ હતી અને આગ પર કાબૂ મેળવી લેવાયો હતો. બિલ્ડિંગમાં કુલિંગનું કામ ચાલુ કરીને અન્ય રહેવાસીઓને સલામત રીતે બહાર કઢાયા હતા.તમામ ઘાયલોને કુપર અને મુકુંદ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા. આગ લાગવાનું કારણ તો હજી ખબર નથી પડી. કોઈ જાણી શકે તે પહેલા જ આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ ઘટના નજરે જોનારા લોકોએ જણાવ્યું કે, અંદર ફસાયેલા લોકો બચાવો-બચાવોની બૂમો પાડતા હતા, પરંતુ કોઈને પણ બચાવી શકાયા ન હતા. લોકોનો આરોપ છે કે, ફાયર બ્રિગેડની ગાડી જો સમયસર આવી જતી તો આટલી મોટી દુર્ધટના બની ન હતો. ફાયર બ્રિગેડના જણાવ્યા અનુસાર, મોડી રાત્રે દોઢ વાગ્યે પહેલા બિલ્ડિંગના ત્રીજા માળમાં આગ લાગી હતી. તે સમયે ત્યાં 4 લોકો હાજર હતા. જ્યારે કે ઉપરવાળા રૂમમાં 7 લોકો હાજર હતા. ઘટના બાદ ફાયર બ્રિગેડે 6 ફાયર ફાઈટરની મદદથી અંદાજે 30 મિનીટમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો અને અંદર ફસાયેલા બંને રૂમના લોકોને બહાર સલામત રીતે કાઢ્યા હતા. ત્રીજા માળ પર રહેતા એક જ પરિવારના 4 લોકોનું મોત થયું છે, જ્યારે કે ઉપરવાળા રૂમમાં ધુમાડાથી બેહોશ થયેલા 7 લોકોને હોસ્પિટલમાં પહોંચાડાયા હતા. મરનારાઓમાં 45 વર્ષીય તસનીમ કાપસી, 15 વર્ષીય સકીના કાપસી, 8 વર્ષીય મોઈઝ કાપસી અને 70 વર્ષીય કાપસી સામેલ છે. ઉલ્લેખનીય છે કે, ગત અઠવાડિયામાં જ મુંબઈના કમલા મિલ્સ વિ્સતારમાં એક પબમાં આગ લાગી હતી. જેમાં 14 લોકોનો મોત થયા હતા અને કુલ 55 જેટલા લોકો ઘાયલ થયા હતા.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.