ગુજરાતમાં ચોમાસુ શરૂ થઈ ગયું છે . એમાંય રાજ્યમાં સૌથી વધારે વરસાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાઇ વિસ્તારમાં વધારે માત્રામાં પડી રહ્યો છે. ત્યારે હવે દરિયાઇ કાંઠાના વિસ્તારોને એલર્ટ આપી દેવામાં આવ્યું છે. રાજ્યમાં વેરાવળ બંદર, દમણના દરિયા કિનારે તેમજ મુંદ્રા, નવલખી, બેડી, દ્વારકા, ઓખા, પોરબંદર, વેરાવળ, દીવ, જાફરાબાદ, પીપાવાવ, ભાવનગર, ભરૂચ અને દહેજ સહિતના બંદરો પર એલર્ટ પર હોવાથી બંદરો પર 3 નંબરના સિગ્નલ આપી દેવાયા છે. સાથે માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના અપાઇ છે.
રાજ્યના કેટલાંક વિસ્તારોના વાતાવરણમાં પણ પલટો જોવા મળી રહ્યો છે. એવામાં રાજ્યમાં સૌરાષ્ટ્રના કેટલાંક બંદરો પર 3 નંબરનું સિગ્નલ આપવામાં આવ્યું છે. અરબી સમુદ્ર (Arabian Sea) માં લો-પ્રેશર સર્જાયું છે જેના લીધે વેરાવળ બંદર ઉપર 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે. લો-પ્રેશરના પગલે દરિયો તોફાની બન્યો છે. આથી, 40થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવાની આગાહી કરવામાં આવી.
બીજી બાજુ વલસાડ જીલ્લામાં પણ વરસાદી માહોલ જામતા જિલ્લાના 70 કિલોમીટરના દરિયાકાંઠામાં માછીમારોને દરિયો ન ખેડવા તંત્રએ સૂચના આપી છે. દમણના દરિયાકિનારે ત્રણ નંબરનું સિગ્નલ આપવામાં આવ્યું છે. તંત્રએ માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના અપાઇ છે. પર્યટકોને પણ દરિયાકિનારે નજીક જવાની મનાઇ ફરમાવી છે. આગામી 4 દિવસ સુધી દમણનો દરિયો પણ તોફાની રહેવાની શક્યતા સેવાઇ રહી છે. મત્સ્ય ઉદ્યોગ વિભાગ દ્વારા માછીમારોને એલર્ટ આપવામાં આવ્યું છે.
જાણો 3 નંબરનું સિગ્નલ કયારે લગાડાય છે ?
વિષમ હવામાન તથા ઝડપી પવનોના કારણે દરિયો તોફાની બને અને દરિયામાં મોજા ઉછળવાની શક્યતા રહેલી હોય ત્યારે બંદર ભયમાં હોવાનું દર્શાવવા માટે 3 નંબરનું સિગ્નલ અપાય છે. સ્થાનિક સચેતક સપાટીવાળી હવાના કારણે બંદર ભયમાં હોવાની માહિતી આપવા માટે બંદરે આ સિગ્નલ લગાડવામાં આવે છે.