બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના આવતા મહિને ભારતની મુલાકાત લઈ શકે છે. મળતી માહિતી મુજબ હસીના 5 સપ્ટેમ્બરે ચાર દિવસની ભારત મુલાકાતે આવશે. કોરોના મહામારી બાદ આ તેમની પ્રથમ દિલ્હી મુલાકાત હશે. સૂત્રોનું માનીએ તો, ઢાકાના અધિકારીઓની એક ટીમ શેખ હસીનાની મુલાકાતને લઈને જરૂરી પ્રોટોકોલ પર ચર્ચા કરવા માટે ભારત પહોંચી ચૂકી છે.
સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ શેખ હસીના 5 થી 8 સપ્ટેમ્બર સુધી ભારતમાં રહેશે. તે જયપુર અને અજમેર શરીફ જશે. જો કે આ પહેલા તેમની અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થવાની સંભાવના છે. આ દરમિયાન બંને નેતાઓ વર્ચ્યુઅલ માધ્યમથી બાંગ્લાદેશથી ભારત સુધીના ‘ફ્રીડમ રોડ’નું સંયુક્ત રીતે ઉદ્ઘાટન પણ કરી શકે છે.
વેપાર અને સંરક્ષણ મુદ્દે વાતચીત થઈ શકે છે
મળતી માહિતી મુજબ 6 સપ્ટેમ્બરે બંને દેશોના નેતાઓ વચ્ચે વેપાર, કનેક્ટિવિટી અને સંરક્ષણ સંબંધોને લઈને દ્વિપક્ષીય વાતચીત થઈ શકે છે. આ દરમિયાન બોર્ડર મેનેજમેન્ટ અને રિવર શેરિંગ જેવા મુદ્દાઓ પર પણ ચર્ચા થવાની શક્યતા છે. હકીકતમાં હસીના છેલ્લે 2019માં ભારત આવી હતી.