મંગળવારે ગુજરાત વિધાનસભામાં રાજ્યના પોલીસ વિભાગમાં ખાલી પડેલી જગ્યાઓનો મુદ્દો ઉછળ્યો હતો. જેના પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે હલ્લાબોલ સર્જાયું હતું. જમાલપુર ખડીયા બેઠકથી કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ મુદ્દો ઉઠાવતા કહ્યું હતું કે રાજ્યમાં પોલીસની જગ્યાઓ ખાલી પડી હોવા છતા ભરવામાં નથી આવતી જેના કારણે કાયદો વ્યવસ્થા કથળી રહી છે.
ગૃહ પ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ આ મુદ્દે બોલતા જણાવ્યું કે ‘રાજ્ય સરકારે 2017માં 17,532 જેટલી જગ્યાઓ પર પોલીસ ડિપાર્ટમેન્ટમાં ભરતી કરી હતી. તેમજ આ વર્ષે બજેટમાં હજુ પણ 5632 જેટલી જગ્યાઓ પર ભરતી કરવા માટે મંજૂરી આપવામાં આવી છે.’ વિરોધ પક્ષે નિયત સમય મર્યાદા અંગે પૂછતા પ્રદિપસિંહે આ અંગે કોઈ જાણકારી આપવા ના પાડી હતી.
જોકે, ત્યારાબાદ તેમણે દાવો કર્યો હતો કે કોંગ્રેસના શાસનકાળ કરતા ગુજરાતમાં હાલ કાયદો વ્યવસ્તાની સ્થિતિ વધુ સારી છે. તેમણે કહ્યું કે, ‘કોંગ્રેસના શાસનકાળમાં ભગવાન જગન્નાથની રથયાત્રાને પણ બુલેટપ્રુફ રથમાં નીકળવાની ફરજ પડતી હતી.’ જે બાદ બંને પક્ષના ધારાસભ્યો વચ્ચે સામસામી આક્ષેપબાજી શરુ થઈ ગઈ હતી.
રાજ્ય સરકારના અધિકારીઓનું માનીએ તો ‘અમદાવાદ શહેરમાં 16% જટેલી કુલ 2588 પોસ્ટ પોલીસમાં ખાલી છે. જેમાં સબ ઇન્સપેક્ટરની પોસ્ટ પર કુલ 790માંથી 381 અને પોલીસ ઇન્સેપ્ક્ટર સ્તરે પણ 23% જેટલી જગ્યાઓ ખાલી પડી છે.’ અધિકારીએ જણાવ્યું કે, 2016માં આ વેકન્સી કુલ 4916 હતી જે નવી ભરતીઓ બાદ ઓછી થઈ છે.
વિધાનસભામાં જણાવ્યા પ્રમાણે અમદાવાદ ઉપરાંત વડોદરા શહેર, બનાસકાંઠા, કચ્છ અને ભરુચ જિલ્લાામાં પણ મોટા પાયે પોલીસ ફોર્સમાં જગ્યાઓ ખાલી પડી છે.
જ્યારે રાજ્યના એક ઉચ્ચ પોલીસ અધિકારીએ કહ્યું કે, ‘જરુરી ભરતીઓ કરવા માટેની પ્રોસેસ શરુ થઈ ગઈ છે. પહેલીવાર રાજ્ય સરકારે સીધા જ ઇન્સપેક્ટર અને આસિ. સબ ઇન્સપેક્ટરની પોસ્ટ પર ભરતી કરી છે. તેમજ ટ્રાફિક કેડર માટે પણ ભરતીની વિચારણા કરવામાં આવી રહી છે.’


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.