નેપાળમાં મોટી દુર્ઘટના ટળી હતી. મળતી માહિતી મુજબ, એર ઈન્ડિયા અને નેપાળ એરલાઈન્સના વિમાનો અધવચ્ચે ટકરાવાના હતા, ત્યારે ચેતવણી પ્રણાલીએ પાઈલટોને એલર્ટ કર્યા અને તેમના તાત્કાલિક પગલાંથી મોટી દુર્ઘટના ટળી ગઈ. જો આ ચેતવણી સમયસર ન મળી હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત અને અનેક લોકોના મોત થયા હોત.
નેપાળની સિવિલ એવિએશન ઓથોરિટી (CAAN) એ બેદરકારીના આરોપસર એર ટ્રાફિક કંટ્રોલ વિભાગના બે કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે. CAANના પ્રવક્તા જગન્નાથ નિરુલાએ આ જાણકારી આપી. શુક્રવારે સવારે મલેશિયાના કુઆલાલંપુરથી કાઠમંડુ જતી નેપાળ એરલાઈન્સની ફ્લાઈટ અને નવી દિલ્હીથી કાઠમંડુ આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ વચ્ચે ટક્કર થવાની હતી.
નિરુલાએ કહ્યું કે એર ઈન્ડિયાનું વિમાન 19,000 ફૂટની ઊંચાઈએથી નીચે આવી રહ્યું હતું જ્યારે નેપાળ એરલાઈન્સનું વિમાન તે જ સમયે 15,000 ફૂટની ઊંચાઈએ ઉડી રહ્યું હતું. પ્રવક્તાએ કહ્યું કે જ્યારે રડારે બતાવ્યું કે બે એરક્રાફ્ટ આસપાસમાં છે, ત્યારે નેપાળ એરલાઈન્સનું વિમાન 7,000 ફૂટની ઊંચાઈએ નીચે ઉતર્યું.સિવિલ એવિએશન ઓથોરિટીએ આ મામલાની તપાસ માટે ત્રણ સભ્યોની કમિટીની રચના કરી છે. CAAN એ ઘટના સમયે કંટ્રોલ રૂમનો હવાલો સંભાળતા બે અધિકારીઓને સસ્પેન્ડ કર્યા હતા. આ ઘટના અંગે એર ઈન્ડિયા તરફથી હાલ કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. (એજન્સી ઇનપુટ્સ સાથે)