દરરોજના ઝઘડા, ઘર કંકાસ અને લગ્નેત્તર સંબંધો હોવાની આશંકાથી કંટાળીને 65 વર્ષીય મહિલાએ તેના 75 વર્ષીય પતિની પેવર બ્લોકથી હત્યા કરી. ચેમ્બુરના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં પોતાના ઘરની બહાર જ્યારે પતિ સૂતો હતો ત્યારે મંગળવારે વહેલી સવારે મહિલાએ તેની હત્યા કરી. લોકોને શંકા ન જાય તે માટે સવાર સુધી તેની બાજુમાં ઊંઘતી રહી.
પોલીસે જણાવ્યું કે, “છોટેલાલ મોર્ય અને ધન્નુદેવીના લગ્નજીવનને 40 વર્ષ થયા હતા. ધન્નુદેવીને શંકા હતી કે છોટેલાલને બે મહિલાઓ સાથે લગ્નેત્તર સંબંધો છે.” જ્યારે તિલકનગર પોલીસને બાતમી મળી કે, ચેમ્બુરના ક્રિષ્ન મેનનનગરમાં એક વૃદ્ધ પુરુષ ઘાયલ હાલતમાં તેના ઘરે પડ્યો છે, ત્યારે સમગ્ર ઘટના પ્રકાશમાં આવી. મોર્યના 3 પુત્રો અને પોલીસ તેને રજવાડી હૉસ્પિટલમાં લઈ ગઈ જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો. શરૂઆતમાં ધન્નુદેવીએ પોલીસને પોતે કશું ન જાણતી હોવાનું જણાવ્યું હતું.
જો કે, રજવાડી હૉસ્પિટલના તબીબોએ પોલીસને જણાવ્યું કે, આ મેડિકો-લીગલ કેસ છે કારણકે મૃતકના માથા પર ઈજાના નિશાન છે. જેથી તિલકનગર પોલીસે હત્યાનો કેસ દાખલ કર્યો. ઝોન 6ના DCPએ કહ્યું કે, ઈજાના પ્રકારને જોતા અમે હત્યાનો કેસ દાખલ કર્યો અને મૃતકના પત્ની-પુત્રોની પૂછરપરછ કરી.
પોલીસ તપાસમાં બહાર આવ્યું કે, ધન્નુદેવી સિવાય તેમના ઘરમાં કોઈએ પ્રવેશ કર્યો નહોતો. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, તપાસ દરમિયાન મૃતકની પત્ની ધન્નુદેવી ભાંગી પડી અને પોતે હત્યા કરી હોવાનું કબૂલ્યું. કબૂલાત બાદ હત્યાનો ગુનો નોંધી ધન્નુદેવીની ધરપકડ કરાઈ.
ધન્નુદેવીએ પોલીસને જણાવ્યું કે, “સોમવારે મોડી રાત્રે બંને વચ્ચે નજીવી બાબતે ઝઘડો થયો હતો. ગુસ્સામાં આવીને તેણે આટલા વર્ષોના અત્યાચારનો બદલો લેવા પતિની હત્યા કરવાનું નક્કી કર્યું. જ્યારે પતિ ઘરની બહાર સૂતો હતો ત્યારે તેણે પેવર બ્લોક તેના માથા પર માર્યો. અને હત્યા બાદ કોઈને શંકા ન જાય તે માટે તેની બાજુમાં સૂઈ ગઈ.”, તેમ તિલકનગરના પોલીસ મનીષ શિરકેએ માહિતી આપી.