મણિપુરમાં અનુસૂચિત જનજાતિના દરજ્જાની મેઇતેઈ સમુદાયની માંગના વિરોધમાં 3 મેના રોજ કાઢવામાં આવેલી રેલી બાદથી હિંસા થઈ રહી છે. આ દરમિયાન મહિલાઓ સાથેની ક્રૂરતાનો વીડિયો સામે આવ્યો હતો.
મણિપુરમાં બે મહિલાઓની નિર્વસ્ત્રપરેડ કરવાના કેસમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહે ગુરુવારે (20 જુલાઈ) કહ્યું કે આ માનવતા વિરુદ્ધ ગુનો છે. અમે વીડિયો જોયા બાદ તરત જ ઓપરેશન શરૂ કર્યું. સવારે એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી, હવે બીજા આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
મુખ્યમંત્રીએ કહ્યું કે વિડિયો અમારી નજરમાં આવતા જ અમે આરોપીઓની ઓળખ કરી અને કાર્યવાહી કરી. અમે એક મિનિટ પણ બગાડ્યો નથી. અત્યાર સુધીમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. સીએમએ કહ્યું કે દોષિતોને બક્ષવામાં આવશે નહીં. આ ઘટનામાં સંડોવાયેલા અન્ય લોકોની પણ વહેલી તકે ધરપકડ કરવામાં આવશે. બાબતે તપાસ ચાલુ છે. અગાઉ, સીએમએ કહ્યું હતું કે તેઓ તમામ આરોપીઓ સામે કડક કાર્યવાહી સુનિશ્ચિત કરશે અને મૃત્યુદંડ મેળવવાનો પણ પ્રયાસ કરશે.
મણિપુરના રાજ્યપાલે માહિતી લીધી
આ મામલે મણિપુરના રાજ્યપાલ અનુસુયા ઉઇકેએ કહ્યું કે આ ઘટના નિંદનીય છે. મેં ડીજીપીને ફોન કરીને તમામ આરોપીઓની વહેલી તકે ધરપકડ કરવા સૂચના આપી હતી. મેં તેને પૂછ્યું કે જે પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી છે ત્યાં કોઈ કાર્યવાહી કેમ કરવામાં આવી નથી. જો પોલીસકર્મીઓ દોષિત જણાશે તો તેમની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે.
“સંવાદ દ્વારા જ ઉકેલ શક્ય છે”
રાજ્યપાલે કહ્યું કે દરેક વ્યક્તિએ એક મંચ પર બેસીને પોતાની માંગણીઓ રજૂ કરવી જોઈએ, વાતચીત દ્વારા જ ઉકેલ મળી શકે છે. હિંસાથી કોઈને ફાયદો થતો નથી. સંવાદ દ્વારા જ ઉકેલ શક્ય છે. રાજ્યપાલે ડીજીપીને જો જરૂર પડે તો પીડિતોને વિશેષ સુરક્ષા આપવા પણ કહ્યું છે. આ ઘટનાના વિરોધમાં ITLFએ ગુરુવારે મણિપુરમાં રેલી પણ કાઢી હતી.