અત્યાર સુધી હળવા કાયદાને કારણે પીનારા- ખરીદનારા-વેચનારાને છટકબારી મળી જતી હતી, પરંતુ હવે દારૂ પીનારા સામે સરકારે લાલ આંખ કરી છે. આગામી વિધાનસભાના બજેટ સત્રમાં વિધેયક બનાવવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ છે.
નવા કાયદામાં ગેરકાયદે દારૂ વેચનારાઓને એકથી 10 વર્ષ સુધીની સજા અને રૂપિયા પાંચ લાખના દંડની જોગવાઇ કરવામાં આવશે. એટલું જ નહીં, ગેરકાયદે દારૂ વેચાતો હોય તે વિસ્તારના પોલીસ અધિકારીને તત્કાલ ફરજ મુક્તિની જોગવાઇ પણ આ કાયદામાં હશે. સૂત્રોએ એમ પણ ઉમેર્યું હતું કે, આ કાયદા હેઠળ ગેરકાયદે દારૂ વેચાતો હોય તે વિસ્તારના ધારાસભ્ય અને ડીએસપીને પણ નોટીસની જોગવાઇ હશે. આ કાયદામાં દારૂ પીનાર પહેલીવાર પકડાય તો એક સપ્તાહની કેદની સજા થશે. બીજી અને ત્યાર બાદ પકડાય તો કેદની સજામાં વધારો કરવા સહિતની સજાની જોગવાઇ નવા કાયદામાં કરવામાં આવે તેવી શક્યતા છે.
ગુજરાત રાજ્ય મુંબઇથી અલગ થયું ત્યારથી વર્ષ ૧૯૬૦થી દારૂબંધીનો કાયદો અમલમાં છે, પરંતુ હાલમાં દારૂ પીતા પકડાઇ જનાર સરળતાથી છકટકી શકે છે. દારૂ પીતા પકડાયેલી વ્યકિતને પહેલીવાર વોર્નિંગ આપીને છોડી દેવાય છે અને ફરી પકડાય તો તેને જામીન આપીને છોડી દેવામાં આવે છે. સરળતાથી દારૂડિયા કે દારૂ વેચનારા કાયદાની અમલવારીની છટકબારી શોધીને છટકી જતા હતાં.
રાજ્યમાં દારુબંધીનો કાયદો કડક બનાવવાની કવાયત તેજ કરવામાં આવી છે. ઠાકોર સેના સાથે થયેલા સમાધાનને પગલે રાજ્ય સરકારે દારુબંધીના કાયદાને કડક બનાવવા ગૃહ વિભાગને કામગીરી સોંપી છે. આ અંગે ગૃહરાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ઠાકોર સેનાને અમે આ બાબતે ખાતરી આપ્યા મુજબ રાજયમાં દારૂ બંધીનો કડક કાયદો બનાવાશે.


SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.