સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (એસબીઆઈ) પોતાના જૂનાં એટીએમ કાર્ડને લઇને એક મોટું પગલું ભરવા જઇ રહી છે. બેન્ક દ્વારા પોતાના ગ્રાહકોને આપવામાં આવેલી જાણકારીમાં જણાવ્યું છે કે એસબીઆઇ જૂના મેજિસ્ટ્રિપ (મેગ્નેટિક) ડેબિટ કાર્ડ હવે ટૂંક સમયમાં બંધ કરી દેશે. તેના બદલે ગ્રાહકોને ઇએમવી ચિપવાળાં ડેબિટ કાર્ડ લેવા પડશે. આ માટે આખરી તારીખ ૩૧ ડિસેમ્બર, ૨૦૧૮ નિર્ધારિત કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે જૂનાં કાર્ડ ઉપર જો કોઇ કામ કરવાનું હોય તો કરી લેવું. અન્યથા બેન્કોના એટીએમ મશીનો જૂનાં કાર્ડ સ્વીકારશે નહીં. એટીએમ કાર્ડ બદલીને તેની જગ્યાએ ઇવીએમ ચિપવાળું ડેબિટ કાર્ડ જારી કરવામાં આવી રહ્યું છે તેવું એસબીઆઇએ ટ્વિટ કરીને જાણકારી આપી છે. નવા કાર્ડ માટે ઓનલાઇન બેન્કિંગથી પણ અરજી કરી શકાશે. આ ઉપરાંત બેન્કની બ્રાંચમાં જઇને પણ અરજી કરી શકાશે. બેન્કે ફેબ્રુઆરી-૨૦૧૭થી જૂનાં કાર્ડ બંધ કરી દીધાં છે અને ૩૧ ડિસેમ્બર, ૨૦૧૮થી સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવશે. જૂનાં એટીએમ અને ડેબિટ કાર્ડ પાછળ એક કાળી પટ્ટી નજરે પડે છે. આ કાળી પટ્ટી મેગ્નેટિક સ્ટ્રિપ હોય છે, જેમાં તમારા ખાતાની સંપૂર્ણ જાણકારી હોય છે. મેગ્નેટિક સ્ટ્રિપ ધરાવતું કાર્ડ સુરક્ષિત નથી. રિઝર્વ બેન્કના જણાવ્યા અનુસાર આ ટેક્નોલોજી હવે જૂની થઇ ગઇ છે અને આવાં કાર્ડ બનાવવાનું પણ બંધ કરી દેવાયું છે. આથી એસબીઆઇએ ૨૦૧૮ના અંત સુધીમાં નવું કાર્ડ બનાવડાવી લેવા સૂચના આપી છે. અત્રે ઉલ્લેખનીય છે કે દેશની સૌથી મોટી સરકારી બેન્ક એસબીઆઇના કરોડો ગ્રાહકો છે. આ સંદર્ભે એસબીઆઇની આ જાહેરાત મહત્ત્વપૂર્ણ છે, જેની તમામ ગ્રાહકોએ નોંધ લેવી જોઇએ.


SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.