Madhya Pradesh: મધ્યપ્રદેશના રાજગઢમાં રવિવારે રાત્રે થયેલા એક દુ:ખદ અકસ્માતમાં 13 લોકોના મોત થયા છે. જ્યારે 15 લોકો ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ, આ અકસ્માત જિલ્લાના પીપલોડી ગામ પાસે થયો હતો. જ્યાં લગ્નના મહેમાનો ભરેલ ટ્રેક્ટર-ટ્રોલી પલટી મારી ગઈ હતી. જેના કારણે ચાર બાળકો સહિત 13 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને 15 લોકો ઘાયલ થયા હતા. રાજગઢ જિલ્લા મેજિસ્ટ્રેટ હર્ષ દીક્ષિતના જણાવ્યા અનુસાર ઘાયલોમાંથી 13 લોકોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માતમાં ઘાયલ થયેલા તમામ લોકોને એમ્બ્યુલન્સ મારફતે રાજગઢની જિલ્લા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યારે બે લોકોને માથા અને છાતીના ભાગે ઊંડી ઈજાના કારણે ભોપાલ રિફર કરવામાં આવ્યા છે.
લગ્નની જાન રાજસ્થાનથી મધ્યપ્રદેશ જઈ રહી હતી
એક અધિકારીના જણાવ્યા અનુસાર, ટ્રેક્ટર-ટ્રોલીમાં સવાર થઈને લગ્નની જાન પડોશી રાજ્ય રાજસ્થાનના મોતીપુરાથી રાજગઢના કુલમપુર જઈ રહી હતી. ત્યારે રસ્તામાં ટ્રેક્ટર-ટ્રોલીએ કાબુ ગુમાવતા રોડ પરથી નીચે ઉતરી ખાડામાં પલટી ગઈ હતી. ટ્રેક્ટર-ટ્રોલી પલટી જતાં જ ચીસો પડી ગઈ હતી.
જ્યારે આસપાસના લોકોએ અવાજ સાંભળ્યો ત્યારે તેઓ મદદ માટે સ્થળ પર પહોંચ્યા અને પોલીસને અકસ્માતની જાણ કરી. માહિતી મળતાની સાથે જ પોલીસ દળ ઘટનાસ્થળે પહોંચી ગયું હતું અને રાહત કામગીરી હાથ ધરી હતી. ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. અકસ્માતની માહિતી મળતાની સાથે જ જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિક્ષક સહિત વરિષ્ઠ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
સીએમ મોહન યાદવે મદદની ખાતરી આપી
આ દરમિયાન મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે ઘાયલોને શક્ય તમામ મદદ કરવાની જાહેરાત કરી છે. તેમણે એક પોસ્ટમાં જણાવ્યું હતું કે અમે સંપર્કમાં છીએ અને રાજસ્થાન પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે હું ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું.
રાષ્ટ્રપતિ મુર્મુએ શોક વ્યક્ત કર્યો
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ મધ્ય પ્રદેશના રાજગઢમાં થયેલા ભયાનક માર્ગ અકસ્માત પર શોક વ્યક્ત કર્યો હતો. રાષ્ટ્રપતિ ભવનના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવ્યું છે હું એવા પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું જેમણે તેમના પ્રિયજનોને ગુમાવ્યા છે અને ઘાયલ થયેલા લોકો ઝડપથી સાજા થાય તેવી કામના કરું છું.