નાણા મંત્રી પિયુષ ગોયલ શુક્રવારે વચગાળાનું બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. અરુણ જેટલી ઈલાજ માટે અમેરિકામાં છે. તેમની અવેજીમાં પિયુષ ગોયલ નાણા મંત્રાલયનો હવાલો સંભાળી રહ્યા છે. પાછલા અઠવાડિયે તેમને નાણા મંત્રાલયનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો હતો. બુધવારે સુધીમાં સ્પષ્ટ ન હતું કે વચગાળાનું બજેટ જેટલી રજૂ કરશે કે ગોયલ. બેએક દિવસ પહેલાં સમાચાર આવ્યા હતા કે જેટલીની તબિયતમાં સુધારો છે અને ટૂંકમાં જ ભારત પરત ફરશે.
ન્યૂઝ એજન્સીને ટાંકીને જાણકારી આપવામાં આવી છે કે બજેટમાં સંપૂર્ણ વર્ષના આવક-જાવકના સ્ત્રોતોનો અંદાજ રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત વચગાળાના બજેટમાં થાય છે તેમ કેટલાક મહિનાઓ માટે ખર્ચની મંજુરી માંગવામાં આવશે. સરકાર હાલ આર્થિક સર્વેક્ષણ રજૂ કરશે નહીં. બાદમાં સપૂર્ણ બજેટ રજૂ કરશે. ચર્ચા છે કે મોદી સરકાર પરંપરાથી વિપરીત થઈ આવકવેરાની છૂટની મર્યાદા વધારી શકે છે તથા ખેડુતો માટે રાહત પેકેજની પણ જાહેરાત કરી શકે છે.
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સોમવારે યુનિવર્સલ બેઝિક ઇન્કમનું વચન આપ્યા પછી બજેટમાં આ પ્રકારની સ્કીમની શક્યતા પ્રબળ બની છે. અગાઉ ગાંધીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ સત્તા પર આવશે તો ખેડૂતોની લોન માફ કરશે. આ જ દિશામાં તેમણે લોકરંજક ચૂંટણી વાયદાના ભાગરૂપે યુનિવર્સલ બેઝિક સ્કીમનો ઉમેરો કર્યો છે.
મળતા અહેવાલો પ્રમાણે મોદી સરકાર આ પ્રકારની સ્કીમ લાવવા વિચારી રહી છે. રેટિંગ એજન્સીઓની ધારણા પ્રમાણે વચગાળાના બજેટમાં ગરીબો માટે લઘુતમ આવકની યોજના જાહેર થવાની શક્યતા છે. તેને લીધે કેન્દ્ર સરકારની તિજોરી પર ઓછામાં ઓછો વાર્ષિક 1.5 ટ્રિલયન અથવા GDPના 0.7 ટકા જેટલો બોજ પડશે. તે કૃષિ લોન માફી કરતાં ઓછો છે. એજન્સીને આગામી બજેટમાં આવા પગલાની ધારણા છે.
ઉલ્લેખનીય છે કે, ભૂતપૂર્વ ચીફ ઇકોનોમિક એડવાઇઝર અરવિંદ સુબ્રમણિયને 2016-’17ના ઇકોનોમિક સરવેમાં યુનિવર્સલ બેઝિક ઇન્કમ (UBI)નો પ્રસ્તાવ મૂક્યો હતો. તેમણે નાગરિકોને આવી સ્કીમ દ્વારા ગેરંટેડ સામાજિક સુરક્ષા આપવાનું સૂચન કર્યું હતું. તેમણે દેશના તમામ લોકો માટે એક નિશ્ચિત લઘુતમ જીવનધોરણ નક્કી કરવા યુનિવર્સલ બેઝિક ઇન્કમની રકમ નાગરિકોના બેન્ક ખાતામાં જમા કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર “કેન્દ્ર સરકાર કૃષિ લોન માફી કરતાં ઇન્કમ સપોર્ટ સ્કીમ અમલી બનાવે એ વધુ સારો વિકલ્પ છે. સરકાર 2019-’20નું ‘વોટ ઓન એકાઉન્ટ’ રજૂ કરતી વખતે તેલંગણાની રાયથુ બંધુ સ્કીમ જેવું રાહત પેકેજ જાહેર કરશે.
વચગાળાના બજેટમાં સીમાંત અને નાના ખેડૂતોને એકર દીઠ વાર્ષિક 8,000ની આવક સહાય આપવામાં આવે તો સીમાંત અને નાના ખેડૂતને અનુક્રમે સરેરાશ વાર્ષિક 7,515 અને 27,942 મળશે. ઇકોનોમિક સરવે 2016-’17માં ગરીબો માટે પ્રસ્તાવિત યુનિવર્સિલ બેઝિક ઇન્કમ સ્કીમ હેઠળની રકમ કરતાં આ આંકડો ઘણો ઓછો છે. ઇન્કમ સપોર્ટને કારણે કેન્દ્ર સરકાર પર 14.68 ટ્રિલિયન અથવા GDPના 0.7 ટકા બોજ પડશે. તેનો અમલ કેન્દ્ર દ્વારા સ્પોન્સર્ડ સ્કીમ તરીકે કરવામાં આવશે તો કેન્દ્ર અને રાજ્યો વચ્ચે ખર્ચ વહેંચાશે. જેમાં કેન્દ્ર સરકારે GDPના 0.43 ટકા અને રાજ્યોએ GDPના 0.27 ટકા ખર્ચ કરવાનો રહેશે.