મુખ્યમંત્રી વિજય રૂપાણીને શુક્રવારે સવારે વોમિટીંગ અને તાવની અસર વર્તાતી હતી. મુખ્યમંત્રીના સ્વાસ્થ્યની પ્રાથમિક તપાસ ગાંધીનગર સિવીલ હોસ્પિટલના તબીબોએ કરી હતી.
મુખ્યમંત્રી વિજય રૂપાણી ત્યાર બાદ તેમના નિર્ધારિત કાર્યક્રમ અનુસાર જૂનાગઢ જવા રવાના થયા હતા. રાજકોટ હવાઇમથકે તેઓ યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને આવકારી તેમની સાથે શિવરાત્રી મેળા માટે જૂનાગઢ જવાના હતા.
મુખ્યમંત્રીને રાજકોટ ખાતે પણ સ્વાસ્થ્યની આ ફરિયાદ યથાવત રહેતાં તેઓ અમદાવાદ પરત આવ્યા હતા.
મુખ્યમંત્રીની ત્યાર બાદ અમદાવાદ ખાતે સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં ડૉ. આર. કે. પટેલ અને ડૉ. મનોજ ઘોડાએ સારવાર અર્થે આરોગ્ય તપાસ કરી હતી.
મુખ્યમંત્રીની તબીબી તપાસ બાદ ડૉ. આર. કે. પટેલે અને ડૉ. મનોજ ઘોડાએ નિદાન કરતાં જણાવ્યું કે, મુખ્યમંત્રીને ઉલટી અને તાવ તેમજ આંતરડામાં દુઃખવાની ફરિયાદ હતી. તેમને આંતરડા પર સોજો હોવાનું નિદાન થયું છે.
મુખ્યમંત્રીની તબિયત હાલ સ્થિર છે અને ચિંતાનું કોઇ જ કારણ નથી.
તબીબોએ CM રૂપાણીને આરામ કરવાની સલાહ આપી છે. તેના કારણે મુખ્યમંત્રીના આવતીકાલ એટલે કે બીજી માર્ચના તમામ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે.