Priyanka Gandhi: પ્રિયંકાએ વાયનાડમાં જીતની લીડમાં રાહુલ ગાંધીને પાછળ છોડી દીધા, સંસદમાં પહોંચનાર ગાંધી પરિવારનાં10મા સભ્ય બન્યા
Priyanka Gandhi: વાયનાડ સંસદીય બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીના વલણોમાં કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી સતત તેમની લીડને મજબૂત કરી રહ્યા છે અને હાલમાં તેઓ 4 લાખથી વધુ મતોથી આગળ છે. પ્રિયંકા ગાંધીની રાજકીય કારકિર્દીની આ પ્રથમ ચૂંટણી હતી જ્યાં તેઓ સીપીઆઈના વરિષ્ઠ નેતા સત્યન મોકેરી અને ભાજપના નવ્યા હરિદાસ સામે ચૂંટણીના મેદાનમાં લડ્યા હતા.
Priyanka Gandhi: બધાની નજર તેના પર છે કે શું તે તેમના ભાઈ રાહુલ ગાંધીની જેમ મોટી જીતનું પુનરાવર્તન કરી શકશે. 2019માં રાહુલ ગાંધીએ 4,31,770 મતોથી અને 2024માં 3,64,422 મતોથી ચૂંટણી જીતી હતી. રાહુલ ગાંધીએ આ વર્ષની શરૂઆતમાં વાયનાડ બેઠક ખાલી કરી હતી કારણ કે તેમણે રાયબરેલીથી સાંસદ રહેવાનો નિર્ણય કર્યો હતો.
આ સભ્યોએ ગાંધી પરિવારમાંથી રાજકારણમાં એન્ટ્રી લીધી
Priyanka Gandhi પહેલા ગાંધી પરિવારમાંથી જવાહરલાલ નેહરુ, ઈન્દિરા ગાંધી, ફિરોઝ ગાંધી, સંજય ગાંધી, રાજીવ ગાંધી, સોનિયા ગાંધી, મેનકા ગાંધી, વરુણ ગાંધી અને રાહુલ ગાંધી રાજકારણમાં આવી ચૂક્યા છે. પ્રિયંકા ગાંધી હવે પોતાના રાજકારણની શરૂઆત દેશના દક્ષિણ ભાગથી કરશે. તેઓ તેમના દાદી અને દેશના પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી, માતા સોનિયા ગાંધી અને કાકી મેનકા ગાંધી પછી સંસદમાં પહોંચનારા ચોથા મહિલા સભ્ય છે.
જવાહરલાલ નેહરુ
દેશના પ્રથમ અને સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર જવાહરલાલ વર્ષ 1912માં રાજકારણમાં સક્રિય થયા હતા, પરંતુ દેશને આઝાદી મળ્યા બાદ યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં તેમણે પ્રથમ ચૂંટણી લડી હતી. તેઓ 15 ઓગસ્ટ, 1947 થી 27 મે, 1964 સુધી 16 વર્ષ સુધી વડાપ્રધાન રહ્યા.
ઈન્દિરા ગાંધી
ઈન્દિરા ગાંધીએ કોંગ્રેસની સેન્ટ્રલ વર્કિંગ કમિટીના સભ્ય તરીકે રાજકારણની શરૂઆત કરી હતી. પરંતુ તેમણે તેમના પિતાના અવસાન બાદ 1967માં ઉત્તર પ્રદેશની રાયબરેલી બેઠક પરથી પ્રથમ ચૂંટણી લડી હતી. ઈન્દિરા ગાંધી 1966-77 અને 1980 થી 1984 સુધી દેશના વડાપ્રધાન હતા. ઈન્દિરા ગાંધી દ્વારા તેમના કાર્યકાળ દરમિયાન વિપક્ષી નેતાઓની હિલચાલને રોકવા માટે લાદવામાં આવેલી ઈમરજન્સીની આજે પણ ટીકા કરવામાં આવે છે.
ફિરોઝ ગાંધી
ઈન્દિરા ગાંધીના પતિ ફિરોઝ ગાંધી દેશની આઝાદીની ચળવળમાં ખૂબ સક્રિય હતા. દેશને આઝાદી મળ્યા પછી યોજાયેલી પ્રથમ લોકસભા ચૂંટણીમાં, તેઓ કોંગ્રેસની ટિકિટ પર પ્રતાપગઢ-રાયબરેલી બેઠક પરથી લડ્યા અને જીત્યા. આ પછી તેમણે વર્ષ 1957માં યુપીના રાયબરેલીથી ચૂંટણી લડી હતી.
સંજય ગાંધી
ઇન્દિરા ગાંધીના નાના પુત્ર સંજય ગાંધીને તેમની યુવાનીથી જ રાજકારણમાં રસ હતો અને તેઓ વિદેશથી પાછા ફર્યા બાદ રાજકારણમાં સક્રિય થયા હતા. તેમણે 1977ની લોકસભા ચૂંટણીમાં ઇમરજન્સી પછી પહેલી ચૂંટણી યુપીના અમેઠીથી લડી હતી. આ ચૂંટણીમાં તેઓ ખરાબ રીતે હારી ગયા હતા. જો કે, 1980માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં તેઓ ફરીથી અમેઠીમાંથી ચૂંટણી લડ્યા અને જીત્યા. પરંતુ 23 જૂન 1980ના રોજ વિમાન દુર્ઘટનામાં તેમનું અવસાન થયું.
રાજીવ ગાંધી
દેશના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીએ તેમના નાના ભાઈ સંજય ગાંધીના અવસાન બાદ 1981માં અમેઠીની પેટાચૂંટણી જીતીને પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી, પરંતુ બાદમાં 1984માં ઈન્દિરા ગાંધીની હત્યા બાદ તેમણે વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. ઈન્દિરા ગાંધીની હત્યા પછી દેશમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીઓમાં કોંગ્રેસને તેમના નેતૃત્વમાં જંગી બહુમતી મળી, જે આજે પણ એક રેકોર્ડ છે. જો કે, 1991માં સામાન્ય ચૂંટણી માટે પ્રચાર કરતી વખતે તમિલનાડુના શ્રીપેરુમ્બુદુરમાં આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ કરી તેમની હત્યા કરવામાં આવી હતી.
મેનકા ગાંધી
મેનકા ગાંધીએ 1984ની સામાન્ય ચૂંટણીમાં પોતાની અલગ પાર્ટી બનાવીને પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. તેઓ 1984ની સામાન્ય ચૂંટણીમાં સંજય ગાંધીના મતવિસ્તાર અમેઠીમાંથી ચૂંટણી લડ્યા હતા. બાદમાં તેમણે 1989માં યુપીના પીલીભીતથી ચૂંટણી લડી હતી. હાલ તેઓ ભાજપમાં છે.
સોનિયા ગાંધી
સોનિયા ગાંધીએ તેમના પતિ રાજીવ ગાંધીની હત્યાના ઘણા વર્ષો પછી રાજકારણમાં પ્રવેશ કર્યો અને 1997માં કોંગ્રેસનું પ્રાથમિક સભ્યપદ લીધું. આ પછી, તેઓ વર્ષ 1998 માં કોંગ્રેસના અધ્યક્ષ તરીકે ચૂંટાયા. તેમણે કોંગ્રેસનો ગઢ ગણાતી અમેઠી લોકસભા બેઠક પરથી વર્ષ 1999માં તેમની પ્રથમ ચૂંટણી લડી હતી. અમેઠી પછી તેમણે 2004માં અમેઠી બેઠક છોડી અને રાયબરેલીથી ચૂંટણી લડી. તેઓ 2024 સુધી આ બેઠક પરથી સંસદમાં રહ્યા છે. હાલ તેઓ રાજસ્થાનમાંથી રાજ્યસભાના સાંસદ છે.
વરુણ ગાંધી
ગાંધી પરિવારના સભ્ય અને સંજય ગાંધીના પુત્ર વરુણ ગાંધીએ વર્ષ 2004માં પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. તેઓ વર્ષ 2004માં પીલીભીત લોકસભા સીટ પરથી ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. આ પછી તેઓ યુપીની સુલતાનપુર લોકસભા સીટથી ચૂંટણી જીતીને સંસદ ભવન પહોંચ્યા હતા. 2024ની સામાન્ય ચૂંટણીમાં ભાજપે સુલતાનપુરથી તેમની ટિકિટ કાપી નાંખી હતી.
રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ કોંગ્રેસની પરંપરાગત બેઠક અમેઠીથી 2004માં તેમની પ્રથમ ચૂંટણી લડી હતી. તેઓ ત્રણ વખત આ સીટ પરથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. 2019માં તેઓ અમેઠી અને વાયનાડ એમ બે જગ્યાએથી ચૂંટણી લડ્યા હતા, તેઓ અમેઠીથી હારી ગયા હતા, પરંતુ વાયનાડથી રેકોર્ડ બ્રેક મતોથી ચૂંટણી જીત્યા હતા. 2024ની સામાન્ય ચૂંટણીમાં, રાહુલ ગાંધીએ યુપીની રાયબરેલી અને વાયનાડ લોકસભા બેઠકો પરથી ચૂંટણી લડી હતી અને બંને બેઠકો જીતી હતી. વાયનાડ બેઠક ખાલી કરી આ સીટ પરથી પ્રિયંકા ગાંધીને ચૂંટણી લડાવવામાં આવી અને તેમણે પોતાના ભાઈ રાહુલ ગાંધી કરતાં પણ વધારે મતો મેળવીને જીત હાંસલ કરી છે. રાહુલ ગાંધી હાલમાં લોકસભામાં વિપક્ષના નેતા છે.