Politics : “રાજકારણમાં દલાલો વધી ગયા!” – નીતિન પટેલે કોને લક્ષ્ય બનાવ્યા?
હવે તો રાજકારણમાં પણ દલાલો થઈ ગયા છે : નીતિન પટેલ
જમીનના દલાલો માત્ર જમીન સુધી સીમિત રહ્યા નથી, હવે તેઓ રાજકારણમાં પણ પગ મૂકી રહ્યા
મહેસાણા, સોમવાર
Politics : કડીના ડરણ ગામે દામોદર જીવરામ પટેલ નૂતન વિદ્યાલયના અમૃત મહોત્સવ અને નવા મકાનના લોકાર્પણ કાર્યક્રમમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ હાજર રહ્યા. પોતાના સંબોધન દરમિયાન, પાટીદાર સમાજની આર્થિક પ્રગતિ અને જમીનના વધી રહેલા ભાવો અંગે ચર્ચા કરતા, જણાવ્યું કે છેલ્લા 30-35 વર્ષમાં પાટીદાર સમાજ નાણાકીય રીતે વધુ સમૃદ્ધ બન્યો છે. આજના સમયમાં, કડી વિસ્તારમાં જમીનની કિંમતો એક કરોડથી પાંચ કરોડ સુધી પહોંચી ગઈ છે, જેના કારણે અમદાવાદના બિલ્ડરો પણ આ વિસ્તાર તરફ આકર્ષાઈ રહ્યા છે.
“હવે તો રાજકારણમાં પણ દલાલો આવી ગયા છે…”
તમામ વિષય પર બોલતા નિતિન પટેલે કહ્યું કે આજે ગામડામાં કોઈ સામાન્ય રહ્યું જ નથી. અહીં જે કોઈ પાસે પણ પાંચ વીઘા જમીન છે, તે 10 થી 15 કરોડના માલિક ગણાય. “હું બિલ્ડરો અને જમીન દલાલોને સારી રીતે ઓળખું છું. આજના સમયમાં દલાલો માત્ર જમીન વ્યવહાર સુધી સીમિત નથી, હવે તો રાજકારણમાં પણ પ્રવેશી ગયા છે!” નીતિન પટેલે આક્ષેપ કર્યો કે દલાલો હવે નેતાઓના નામે અધિકારીઓ સાથે ઓળખાણ કરાવી, કામો ઝડપથી કરાવી લે છે.
“આ બધું હું મારી શક્તિથી બોલી શકું છું…”
આગળ તેમણે કડીમાં તેમની રાજકીય યાત્રા અને ગામલોકોના સમર્થન વિશે પણ વાત કરી. કહ્યું કે “1990માં હું પ્રથમ વખત ધારાસભ્ય બન્યો. તે સમયે મારી કોઈ ખાસ ઓળખાણ ન હતી, પણ ગામના આગેવાનોએ અને જનતાએ મને તક આપી.” તેમણે ઉમેર્યું કે “આજે હું નિર્ભયપણે સત્ય બોલી શકું છું, કારણ કે મારું રાજકીય જીવન ગામલોકોના આશીર્વાદ અને મહેનતથી આગળ વધ્યું છે.”
નિતિન પટેલના આ નિવેદન બાદ, તેમના ‘દલાલો રાજકારણમાં આવી ગયા’ વાળા વાક્યની રાજકીય માળખામાં વિવિધ અર્થઘટનાઓ થઈ રહી છે.