Gujarat Police Action : અમદાવાદમાં અસામાજિક તત્વો સામે કાર્યવાહી! તુરંત જાણ કરો આ નંબર પર
Gujarat Police Action : ગુજરાતમાં અસામાજિક તત્વોનો વધતો આતંક રાજ્યની છબી બગાડી રહ્યો છે. આ સ્થિતિને પહોંચી વળવા ગુજરાત પોલીસ હવે એક્શન મોડમાં આવી ગઈ છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે નાગરિકોની સુરક્ષા માટે એક વિશેષ વોટ્સએપ નંબર જાહેર કર્યો છે. જો કોઈ શખ્સ લુખ્ખાગીરી કરતા જોવા મળે અથવા અસામાજિક પ્રવૃત્તિઓ ચલાવી રહ્યું હોય, તો 6359625365 નંબર પર જાણ કરી શકાય.
પોલીસને જાણ કરનારની ઓળખ ગોપનીય રાખવામાં આવશે
અમદાવાદમાં અસામાજિક તત્વો પર કડક પગલા ભરવા માટે આ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. નાગરિકો આ વોટ્સએપ નંબર પર તસવીરો, વિડિઓઝ કે કોઈપણ અન્ય માહિતી મોકલી શકે છે. જાણ કરનારની ઓળખ સંપૂર્ણપણે ગોપનીય રાખવામાં આવશે, જેથી કોઈપણ વ્યક્તિ નિર્ભય બની પોલીસને મદદ કરી શકે.
ગુજરાત પોલીસના ગૃહ રાજ્ય મંત્રીનો કડક સંદેશ
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, ગુજરાત પોલીસ ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવા તૈયાર છે. એક વાર નહીં, પણ ત્રણ વાર પાસા હેઠળ જેલમાં મોકલાયેલા કેટલાક ગુનેગારો હજુ પણ જામીન મેળવીને છૂટા થઈ ગયા છે. આવી સ્થિતિ રોકવા માટે વધુ કડક પગલાં ભરવામાં આવશે.
તેમણે વધુમાં કહ્યું કે, જો કોઈ પોલીસ કર્મચારી ગુનેગારો સાથે સંકળાયેલો હશે, તો તેની નોકરી જતી રહેશે. ગુનેગારો સામે તાત્કાલિક પગલાં ભરવા માટે અલગ અલગ એજન્સીઓ કામ કરી રહી છે, જેથી રાજ્યમાં શાંતિ અને સુરક્ષા જળવાઈ રહે.
અસામાજિક તત્વો માટે કડક કાર્યવાહી
ગુજરાત પોલીસ દ્વારા જાહેર કરાયેલા આદેશ અનુસાર, નીચેની અસામાજિક પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા શખ્સો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે:
વારંવાર શરીર સંબંધી ગુનાઓ કરતા લોકો
ખંડણી ઉઘરાવનારા અને ધમકી આપનારા તત્વો
મિલકત સામેના ગુનાઓ આચરનારા
પ્રોહિબિશન અને જુગારના ગેરકાયદેસર ધંધામાં સંકળાયેલા શખ્સો
ખનીજ ચોરીમાં સામેલ લોકો
સુરત પોલીસે શરૂ કરી બુલડોઝર એક્શન
રાજ્ય પોલીસ વડાના આદેશ મુજબ, સુરત પોલીસે પણ ગુનેગારો વિરુદ્ધ બુલડોઝર એક્શન શરૂ કર્યું છે. સુરતના ઉધના વિસ્તારમાં આરોપી રાહુલ એપાર્ટમેન્ટના ઘરો પર ડિમોલિશન કરવામાં આવ્યું. આ શખ્સ વિરુદ્ધ 23 ગંભીર ગુનાઓ નોંધાયેલા છે, જેમાં હત્યા, મારામારી, ખંડણી, મિલકત પર કબજો સહિતના ગુનાઓનો સમાવેશ થાય છે.
પોલીસ દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે – “કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો.” ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા શખ્સો માટે હવે કડક પગલાં ભરવામાં આવશે, જેથી રાજ્યમાં શાંતિ અને સલામતી જળવાઈ શકે.