Bhuj Land Scam Case : ભુજમાં થયો કરોડોનો જમીન કૌભાંડ..? જાણીતા તબિબ અને પુત્રે ખોટી વીલો રજૂ કરી “કાળા”ના ધોળા કર્યા.!
Bhuj Land Scam Case : રાજ્યના વિશાળ અને સરહદી જિલ્લા કચ્છમાં મોટા પ્રમાણમાં જમીનો આવેલી છે અને હાલમાં રિયલ એસ્ટેટ માર્કેટ પુરજોશમાં હોવાથી જમીનની ડિમાન્ડ પણ વધી ગઈ છે અન્ય વિભાગો તો ભ્રષ્ટાચારના કારણે બદનામ છે પણ રેવન્યુ વિભાગ તો ખુદ ભ્રષ્ટાચારથી ખદબદી રહ્યો હોવાનુ સામે આવ્યું છે.કિંમતી સરકારી જમીનો પાણીના ભાવે પધરાવી દેવાની અનેક ઘટનાઓ બની છે તેવામાં ભુજ નજીકના મિરજાપર ગામે બોગસ ખેડૂત ખાતેદાર બની જમીન કૌભાંડ આચરવામાં આવ્યું હોવાના આક્ષેપો ઉઠવા પામ્યા છે.
આ બાબતે એક જાગૃત અરજદાર દ્વારા કલેકટર સહિતના તમામ સંબધિત વિભાગમાં રજુઆત કરવામાં આવી છે. જેમાં જણાવ્યા પ્રમાણે, કચ્છ જિલ્લામાં ઉદ્યોગોનું આગમન અને જમીનોના ભાવો ઉચકાતા રેવેન્યુ વિભાગ દ્વારા અરજદારો સાથે સાંઠગાંઠ કરીને ખોટા બિનખેતીનાં હુકમો તેમજ લાગુની જમીનો ખેતી માટે ગેરકાયદેસર મંજુર કરાવી અપાતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ડીઆઈએલઆર કચેરી, મામલતદાર કચેરી તેમજ તેને સંલગ્ન જુદી-જુદી રેવેન્યુ કચેરીના અમુક અધિકારીઓ અને કર્મચારીઓ મોટા કૌભાંડ આચરી આર્થીક વ્યવહાર કરતા હોવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો. ભુજ તાલુકાના મિરજાપરના બિનખેતી સર્વે નંબર ૩૬ અને તેને લાગુની જમીન કે જે ખેતી માટે એકર ૧-૩૮ ગુંઠા મંજુર થઇ હતી જે લાગુ રેવન્યુ સર્વે નંબરની જમીનને ટ્રાવર્સ સર્વે નંબર પૈકી સર્વે નં. ૧૭૩/પૈકી ૨૦ વાળી આપવામાં આવી છે તે હાલે ભુજનાં ડોકટર દમયંતીબેન ગણાત્રાના પુત્ર ડો.સત્યમના નામે નોંઘાયેલ છે.
સદરહુ ખેતીની જમીન નાયબ કલેકટર ભુજનાં તા. 25-05-1983ના હુકમથી હરીરામ ખેતશી ચંદેનાં ખાતે મંજુર થઇ હતી. જે હુકમ કરતી વખતે ફોરેસ્ટ વિભાગનો અભિપ્રાય લેવામાં આવ્યો નથી તેમજ લાગુ જમીન અંગે ડીઆઈએલઆર કચેરીનાં જે તે વખતનાં અધિકારી દ્વારા ગેરકાયદેનો અભિપ્રાય આપ્યો છતાં તે અભિપ્રાયની અવગણના કરવામાં આવી છે. લાગુની જમીન ફોરેસ્ટમાં આવતી હોઈ શ્રી સરકાર દાખલ થઇ છે અને બાકી રહેતી જમીન કે જે રેવન્યુ સર્વે નંબર 36ને લાગુ તરીકે આપવામાં આવી છે તેનાં હુકમની શરત નં. 2 મુજબ લાગુની જમીન સર્વે નં. ૩૬ સાથે ભેળવવાની હતી જે ભેળવવામાં આવી નથી જેથી મિરજા૫૨નાં રે.સ.નં. ૧૭૩/પૈકી ૨૦, હે. ૦૨૦-૪૧ ચો.મી. વાળી ખેતીની જમીન કે જે ખાતા નં. ૩૧૦ થી ડો.સત્યમ ઉર્ફે મોન્ટી કનુભાઈ ઉર્ફે ક્રિષ્ણકાંત ગણાત્રાના નામે છે તેમાં શરત ભંગ કરાયો હોવાથી શ્રી સરકાર હસ્તે લેવા માંગણી કરવામાં આવી છે. આ બાબતે વિવિધ કચેરીમાં આધાર પુરાવા સાથે રજુઆત કરવામાં આવી છે હવે જોવાનું એ છે કે,તંત્ર દ્વારા કેવી કાર્યવાહી કરવામાં આવે છે.
મિરજાપરમાં ફળ ઝાડ માટે જમીન મેળવી વાવ્યા નહીં
મિરઝાપરનાં રે.સ.નં. ૩૪/૪ પૈકી ૭ વાળી જમીન ફળ ઝાડ માટે ભુજનાં પ્રતિષ્ઠીત ડોકટરનાં નામે ખોટા સોગંદનામા રજુ કરીને મંજુર કરાવવામાં આવી હોવાનો ગંભીર આક્ષેપ અરજીમાં કરવામાં આવ્યો છે. અરજીમાં જણાવ્યા પ્રમાણે, તેઓનાં નામે અનેક ખેતીની જમીન આવેલ છે જેમાં વાવડી અને વિઝાણમાં જમીનો આવેલ છે જેથી તેમને ફળઝાડ માટે સદર જમીન મળી શકે નહીં આ તમામ જમીનો તેઓએ ખોટા ખેડુત ખાતેદાર બનીને લીધી હોવાનુ દાવા સાથે જણાવી તપાસની માંગ કરી છે આ જમીન ગેરકાયદેસર રીતે મંજુર થયા બાદ સદર જમીનની કોઈ માપણી ડીઆઈએલઆર કચેરી દ્વારા કરવામાં આવી નથી તેમજ સદર જમીનમાં કોઈ ફળ-ઝાડ વાવ્યા નથી ત્યારે ગેરકાયદેસર પંચનામાં અને માપણી આધારે જમીનની લીઝ રદ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
પરિવારના કોઈ સભ્યો ખેડૂત ખાતેદાર ન હોવાનો આક્ષેપ
મહિલા તબીબ કે પરીવારનાં કોઈ જ સભ્ય ખેડૂત ન હોવા છતાં ખોટા ખેડુત બન્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.હાલની જે જમીન છે તે ખોટા વિલો ઉભા કરીને પોતે ખેડૂત ન હોવા છતાં પોતાનાં ખાતે દાખલ કરાવી છે અને તે વીલની જે નોંઘ દાખલ થઈ છે તે તપાસ કરીને રદ કરાવવામાં આવે અને કૌભાંડની તપાસ કરવા માંગણી કરવામાં આવી છે.
આ સમગ્ર મામલે શું કાર્યવાહી થઈ તે બાબતે ભુજ શહેરના મામલતદાર ડી. કે. રાજપાલનો પ્રત્યુતર લેવા પ્રયાસ કરાયો હતો પરંતુ મામલતદારએ લાજવાના બદલે ગાજયા અને ઉડાઉ જવાબ આપી પોતાની જવાબદારીમાંથી છટકવા ભરપૂર હવાતિયાં માર્યા હતા.