Antilia Wakf Board land controversy: શું અંબાણીનું ‘એન્ટિલિયા’ વકફ બોર્ડની જમીન પર ઉભું છે? જાણો સમગ્ર વિવાદ
Antilia Wakf Board land controversy: ભારતના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીનું અલ્ટ્રાલગ્ઝુરિયસ ઘર ‘એન્ટિલિયા’ ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યું છે. સામાન્ય રીતે આ ભવ્ય મકાન તેની ભવ્યતા અને કિંમતને લઈને હંમેશા ચર્ચામાં રહે છે, પણ આ વખતે ચર્ચાનો કેન્દ્ર છે—જમીન. સોશિયલ મીડિયા અને રાજકીય માહોલમાં એ દાવો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે કે એન્ટિલિયા વકફ બોર્ડની જમીન પર નિર્મિત છે.
ક્યાંથી શરૂ થયો વિવાદ?
એન્ટિલિયા મુંબઈના પરેડ રોડ વિસ્તારમાં આવેલું છે અને તેની કિંમત લગભગ ₹15,000 કરોડ છે. તાજેતરમાં સંસદમાં વકફ બોર્ડ સંકળાયેલા સુધારા બીલ રજૂ થવાની સાથે જ ફરી એકવાર એ દાવા સામે આવ્યા કે આ ભવ્ય ઈમારત વકફની જમીન પર છે. માહિતી અનુસાર, 2002માં મુકેશ અંબાણીએ આ જમીન 21 કરોડ રૂપિયામાં ખરીદી હતી. જમીન આશરે 4.5 લાખ ચોરસ ફૂટની છે.
વકફ બોર્ડના દાવા પાછળનું સાચું કથન શું છે?
અહેવાલો અનુસાર, 1986માં કરીમભાઈ ઇબ્રાહિમ નામના વ્યક્તિએ આ જમીન વકફ બોર્ડને ધાર્મિક કાર્ય અને અનાથાશ્રમ માટે દાનમાં આપી હતી. બાદમાં બોર્ડે આ જમીન વેચી દીધી—જેને કારણે આખું મામલો વિવાદાસ્પદ બની ગયો. 2005માં આ મામલો કોર્ટ સુધી પહોંચી ગયો હતો. મહારાષ્ટ્ર વકફ બોર્ડના તત્કાલીન અધિકારીઓની સંડોવણી સાથે થયેલા સોદાના દસ્તાવેજો પણ તપાસ હેઠળ છે.
શું વકફ બોર્ડ જમીન વેચી શકે?
મહારાષ્ટ્ર વિધાનસભામાં રજૂ થયેલા એક અહેવાલ મુજબ, વકફ બોર્ડની મિલકત ખાનગી કે વ્યવસાયિક ઉપયોગ માટે વેચી શકાય તેમ નથી. આમ છતાં, અગાઉ થયેલા ઘણા સોદાઓને લઈને આવી શંકાસ્પદ સ્થિતિઓ ઉભી થઈ છે. હાલમાં પણ આ મામલો કોર્ટમાં પેન્ડિંગ છે અને કાયદેસર નિષ્કર્ષ હજુ આવી શક્યો નથી.
વકફ બોર્ડ પાસે કેટલી જમીન છે?
આંકડાઓ પ્રમાણે, 1950માં સમગ્ર ભારતમાં વકફ બોર્ડ પાસે લગભગ 52,000 એકર જમીન હતી. આજે આ આંકડો 9.4 લાખ એકરથી વધુનો થયો છે. વકફની ઘણી મિલકતો ધાર્મિક, સામાજિક અને શૈક્ષણિક હેતુ માટેના દાન રૂપે આપવામાં આવી હતી, પણ સમય જતાં કેટલાય મિલકતો પર અયોગ્ય રીતે કબજો અથવા વેચાણ થવાના દાવાઓ પણ સામે આવ્યા છે.