ટેકનિકલ તપાસે મુખ્ય આરોપી ઝડપાયો
રાજકોટ જિલ્લાના આટકોટ વિસ્તારમાં સાત વર્ષની નિર્દોષ બાળકી સાથે થયેલો હૈયાદ્રાવક બનાવ સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે. માહિતી મુજબ, ચાર ડિસેમ્બરે ત્રણ સંતાનોના પિતાએ બાળકી સાથે દુષ્કર્મ કર્યા બાદ તેના ગુપ્તાંગમાં એક ફૂટ જેટલો લોખંડનો સળિયો ઘુસાડી અત્યંત ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. ઘટના જાહેર થતાં જ બાળકીના પિતાએ આઠ ડિસેમ્બરે આટકોટ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. પોલીસે તાત્કાલિકપણે BNSની કલમ 65(2) તથા પોક્સોની કલમ 6, 5(I), 5(M) મુજબ ગુનો દાખલ કર્યો હતો.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે બાળકી વાડી પાસે રમી રહી હતી ત્યારે આરોપી રામસિંગ ત્યાંથી પસાર થયો હતો. બાળકીને જોતા જ તેની નિયત બગડી હતી અને ચોકલેટ આપવાના બહાને તે બાળકીને પાણીના ટાંકા પાછળ લઈ ગયો હતો. ત્યાં જ તેણે તેની સાથે દુરાચાર આચરી અમાનવીય રીતે લોખંડનો સળિયો બાળકીના શરીરમાં ઘુસાડ્યો હતો. ઘટનાની ગંભીરતા જોઈને સ્થાનિક લોકો અને પોલીસમાં પણ ભારે આક્રોશ વ્યાપ્યો છે.
ટેકનિકલ તપાસથી મુખ્ય આરોપી સુધી પહોંચ્યું પોલીસ તંત્ર
બનાવની જાણ થતાં જ રાજકોટ ગ્રામ્ય પોલીસે કુલ દસ વિશેષ ટીમોને શોધખોળમાં લગાડી દીધી હતી. ટેકનિકલ સપોર્ટ મારફતે ટાવર ડમ્પિંગ ડેટાનો વિશ્લેષણ કરવામાં આવ્યો અને આસપાસના ગામોના સીસીટીવી ફૂટેજ પણ મેળવવામાં આવ્યા હતા. પોલીસે 100 જેટલા શકમંદોની યાદી બનાવી તેમની પૂછપરછ શરૂ કરી હતી. આ પ્રક્રિયામાં 10 લોકો વધુ શંકાસ્પદ જણાતા તેમની ઓળખ માટે બાળકી પાસે ફોટોગ્રાફ્સ બતાવાયા હતા. તેમાંના એકને બાળકી ઓળખી જતાં પોલીસે તેને ઝડપી લીધો હતો અને પૂછપરછ દરમિયાન તેણે ગુનો કબૂલ કર્યો હતો.
બાળકીની સ્વસ્થતામાં ધીમે ધીમે સુધારો
બનેલા બનાવ બાદ બાળકી માનસિક આઘાતમાં હતી અને શરૂઆતનાં બે દિવસ સુધી તેની સ્થિતિ ચિંતાજનક હતી. હાલમાં બાળકીને માનસિક તથા શારીરિક રીતે સુધારો થઈ રહ્યો છે તથા સારવાર ટીમ તેના પર સતત નજર રાખી રહી છે. આ બનાવને લઈને રાજ્યના ડીજીપી તથા ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ ખાસ સૂચનાઓ આપી છે કે તપાસ ઝડપથી પૂર્ણ થાય અને દીકરીને ન્યાય મળી રહે.
ચાર્જશીટ અને પુરાવાઓ અંગે પોલીસ ઝડપમાં
પોલીસે સ્થળ પરથી એફએસએલ ટીમને સાથે લઈ પુરાવા એકત્રિત કર્યા છે અને વૈજ્ઞાનિક રીતે દરેક પાસાને ચકાસવામાં આવે છે. આરોપીને કોર્ટમાં રજુ કરી સાત દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવશે જેથી સમગ્ર ઘટનાક્રમની ઊંડાણપૂર્વક તપાસ થઈ શકે. સરકારે સ્પષ્ટ કર્યો છે કે ચાર્જશીટ વહેલી તકે દાખલ કરવામાં આવશે અને પરિવારને ન્યાય મળે તે માટે તમામ પ્રક્રિયાઓ ઝડપી ગતિથી હાથ ધરવામાં આવશે.

