India Pakistan War: દિલ્હીમાં મહત્વની બેઠક, પીએમ મોદીના નેતૃત્વમાં પાકિસ્તાન સામે વ્યૂહરચના તૈયાર
India Pakistan War: હાલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ પરિસ્થિતિ ઊભી થઈ છે. આવા સંજોગોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની ત્રણે સેનાના વડાઓ સાથે નવી દિલ્હીમાં એક ખૂબ જ મહત્વની બેઠક યોજી છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ તેમની બાજુમાં હાજર રહ્યા અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ સીધા તેમના સામે બેઠા હતા. બેઠક દરમિયાન પાકિસ્તાનના આંતકવાદી તત્વો સામે કડક કાર્યવાહી માટે નવી વ્યૂહરચના ઘડી કાઢવામાં આવી.
પાકિસ્તાન દ્વારા સરહદી વિસ્તારોમાં ઉશ્કેરણી અને ઉલ્લંઘન બાદ ભારતે પણ પોતાની લશ્કરી સ્થિતિ મજબૂત કરી છે. ઓપરેશન “સિંદૂર”થી ગભરાયેલું પાકિસ્તાન ભારતીય હવાઈ ક્ષેત્રમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યુ હતું, પરંતુ તેને સેનાએ નિષ્ફળ બનાવ્યું. આવાં હુમલાઓની પૃષ્ઠભૂમિમાં પીએમ મોદીએ સેનાના વડાઓ સાથે તાત્કાલિક ચર્ચા કરીને ભાવિ પગલાંઓ પર વિચારવિમર્શ કર્યો.
બેઠક દરમિયાન CDS અને તમામ ત્રણ સેના વડાઓ યુનિફોર્મમાં હાજર રહ્યા, જે પરથી સ્પષ્ટ થાય છે કે ભારત આ બાબતને ખૂબ જ ગંભીરતાપૂર્વક લઇ રહ્યો છે. LOC અને આંતરરાષ્ટ્રીય સરહદ પર પાકિસ્તાન દ્વારા થયેલા યુદ્ધવિરામના ઉલ્લંઘનો અંગે પણ સમીક્ષા કરવામાં આવી. દેશના ભૂતપૂર્વ સૈનિકો સાથે પણ અગાઉ ચર્ચા કરવામાં આવી હતી જેથી તેમની અનુભવી દૃષ્ટિથી ભવિષ્યની લશ્કરી નીતિને વધુ અસરકારક બનાવી શકાય.
આક્રમકતા સામે ભારતનો જવાબ
પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતીય સેના એ 9 જુદા-જુદા આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવીને સચોટ મિસાઇલ હુમલા કર્યા. વધુમાં, 8-9 મેની રાત્રે પાકિસ્તાને ભારતીય સૈન્યના ઠેકાણાઓ પર ડ્રોન વડે હુમલાનો પ્રયાસ કર્યો. વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે મીડિયા સમક્ષ જણાવ્યું કે, ભારતે આ બધા ડ્રોન હવામાનમાં તોડી નાખ્યા અને પાકિસ્તાનના ઘૃણાસ્પદ ઈરાદાઓને નિષ્ફળ બનાવ્યા.
ટેકનોલોજીથી જવાબ
પાકિસ્તાન દ્વારા નાગરિક ફ્લાઇટ્સના ઢાળ તરીકે ઉપયોગ કરીને હુમલો કરવામાં આવ્યો હતો, જે આંતરરાષ્ટ્રીય નીતિગત નિયમોના ખુલ્લા ઉલ્લંઘનરૂપ છે. ભારતે આવા હુમલાઓનો માત્ર જવાબ આપ્યો નહીં પરંતુ લાહોરમાં આવેલ રડાર સિસ્ટમ જેવા મહત્વના લક્ષ્યોને પણ નિશાન બનાવ્યા. આ દરમિયાન ભારતના અદ્યતન શસ્ત્રો જેમ કે SCALP ક્રુઝ મિસાઇલ, રૂદ્રમ-1 એન્ટિ રેડાર મિસાઇલ અને સ્કાય સ્ટ્રાઈકર ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાની શક્યતાઓ છે.
દેશની રક્ષા વ્યવસ્થા માત્ર પ્રતિસાદ આપતી નથી, પરંતુ અત્યારથી ભવિષ્યની પણ તૈયારી કરી રહી છે. નવી દિલ્હીની આ બેઠક તેના પૂરાવા રૂપ છે કે ભારત કોઈ પણ પ્રકારની ખતરા ને અવગણવા તૈયાર નથી – અને દેશમાં લશ્કરી સ્તરે પણ સંપૂર્ણ ચોકસાઈ અને સમર્પણ સાથે નિર્ણય લેવાઈ રહ્યા છે.