જોધપુર વિસ્તારમાં રહેતા અને કન્સ્ટ્રકશનનું કામ કરતા યુવકનું તેની જ કારમાં ત્રણ શખ્સોએ અપહરણ કર્યું હતું. આરોપીઓેએ તેને છોડવા માટે ૫૦ લાખની માંગણી કરી હતી. યુવકને આનંદનગર વિસ્તારમાં ઉતારીને ભાગી ગયેલા ત્રણેય આરોપીઓને બાદમાં પોલીસે ઝડપી લીધા હતા.
આ બનાવની વિગત મુજબ જોધપુરમાં સ્તવન અવીશા ફ્લેટમાં પ્રતિકભાઈ ડી.ચોવટીયા (૨૯) કન્સ્ટ્કશનનું કામકાજ કરે છે. ૨૬ ઓગષ્ટના રોજ પ્રતિકભાઈ સવારે ૧૦.૩૦ વાગ્યે ઘરેથી પોતાની સાઈટ પર જવા નીકળ્યા હતા. દરમિયાન પ્રતિકભાઈના પત્ની રીનાબહેનેે તેમના ઘરે સુરતથી તહેવાર મનાવવા આવેલા પ્રતિકભાઈના પિતરાઈ ભાઈ મયુર સી.પટેલને ફોન કર્યો હતો. પ્રતિકભાઈ ફોન ઉપાડતા નથી એમ કહેતા જોધપુરમાં મંદિરે દર્શન કરવા ગયેલો મયુર ઘરે આવ્યો હતો.
બાદમાં મયુરે પ્રતિકભાઈના મિત્રો સાથે મળીનેે તેમની ગોતા ખાતે ચાલતી સાઈટ પર તથા અન્ય જગ્યાઓએ તપાસ કરી હતી. જોકે પ્રતિકભાઈનો પતો લાગ્યો ન હતો.આથી આનંદનગર પોલીસને પ્રતિકભાઈની ગુમ થયાની જાણ કરવામાં આવી હતી. દરમિયાન રાત્રે અંદાજે સાડા આઠ વાગ્યે પ્રતિકબાઈએ તેમના મિત્ર ખોડાભાઈ એન.રામાણીને ફોન કર્યો હતો. જેમાં તેમણે કહ્યું હતું કે તેમની જ કારમાં ત્રણ શખ્સોએ સવારે ૧૦.૩૦ વાગ્યે સ્તવન અવિશા ફ્લેટ આગળથી અપહરણ કર્યું હતું અને છોડાવવા માટે ૫૦ લાખની માંગણી કરે છે. જેને પગલે મયુર પટેલે આનંદનગર પોલીસ સ્ટેશનમાં પ્રતિકબાઈના અપહરણની ફરિયાદ નોંધાવી હતી.
દરમિયાન આરોપીઓ રાત્રે પ્રતિકભાઈને આનંદનગર વિસ્તારમાં ઉતારીને ભાગી ગયી હતા. આનંદનગર પોલીસે આ અંગે તપાસ હાથ ધરીને ત્રણેય આરોપીઓને ઝડપી લીધા હતા. જેમાં વેજલપુરમાં રહેતા સાગર આઈ.રબારી(૨૪), પ્રેરણાતીર્થ દેરાસર પાસે રહેતા કૃણાલ ઉર્ફે સાહિલ જે.દેસાઈ (૧૯) અને શિવરંજની ખાતે રહેતા પૌમિલ પટેલનો સમાવેશ થાય છે. આરોપીઓે પ્રતિકભાઈનું તેમની જ કારમાં અપહરણ કરીને અડાલજ અને છત્રાલ વિસ્તારમાં ફેરવ્યા હતા અને ૫૦ લાખની માંગણી કરી હતી. આ અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.