દેશની સુપ્રીમ કોર્ટે ડાબેરી નેતા સીતારામ યેચુરીને જમ્મુ કશ્મીર જવાની પરવાનગી આપી હતી. યેચુરીએ કોર્ટને કહ્યું હતું કે મારા પક્ષના ધારાસભ્ય એમવાય તીરેગામીને મળવાની મારી ઇચ્છા છે. ચીફ જસ્ટિસે એને એવી ચેતવણી આપી હતી કે તમે માત્ર તમારા દોસ્તને મળવા જાઓ છો. ત્યાં પોલિટિક્સ રમતા નહીં. સુપ્રીમ કોર્ટે સોલિસિટર જનરલને સવાલ પૂછ્યો હતો કે સરકાર યેચુરીને કેમ રોકી રહી હતી ત્યારે તેમણે જવાબમાં કહ્યું હતું કે આ મુલાકાત પોલિટિકલ હતી એટલે અમે એમને રોક્યા હતા.
દરમિયાન, જમ્મુ કશ્મીરનો ખાસ દરજ્જો ધરાવતી 370 મી કલમ રદ કરવા અંગેના કેન્દ્રના પગલાને પડકારતી અરજીના અનુસંધાનમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ મોકલી હતી. આ મુદ્દે હવે પછીની સુનાવણી ઓક્ટોબરમાં થશે એમ સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું. જણાવી દઇએ કે માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી (CPM)ના મહાસચિવ સીતારામ યેચુરી અને ભાકપાના ડી રાજા પહેલા જ્યારે જમ્મુ કાશ્મીર ગયાં હતાં તેમને એરપોર્ટ પરથી હિરાસતમાં લેવામાં આવ્યાં હતા. આ જાણકારી સીપીઆઇએમે ટ્વિટ કરીને આપી હતી.
યેચુરી રાજ્યની પાર્ટી એકમના સભ્યોના પરિવારો સાથે મુલાકાત કરવા જમ્મુ કાશ્મીર ગયાં હતા. સીતારામ યેચુરી અને ડી રાજાએ જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકને પહેલા પત્ર લખીને પોતાની યાત્રા વિશે જાણ કરી હતી. સીપીઆઇએમે ટ્વિટ કર્યુ હતું, સીતારામ યેચુરીને શ્રીનગરના એરપોર્ટ પર હિરાસતમાં લેવામાં આવ્યાં છે અને તેમને ક્યાંય જવા દેવામાં નથી આવી રહ્યા. તેમણે પહેલાં પ્રશાસનને સૂચિત કર્યા હતાં કે તે સીપીઆઇએમ ધારાસભ્ય એમવાય તારિગામીને મળવા જશે જેની તબિયત ખરાબ છે. આ ઉપરાંત તેમણે અન્ય પાર્ટીકર્તાઓને મળવાની જાણકારી પણ આપી હતી. અમે અમાન્ય રીતે હિરાસતમાં લેવાનો સખત વિરોધ કરીએ છીએ.