રાજ્યમાં અકસ્માતોની સંખ્યામાં દિવસેને દિવસે ચિંતાજનક રીતે વધારો થઇ રહ્યો છે. આજે અમદાવાદ- સુરત નેશનલ હાઇવે 48 પર ગમને.હા 48 પર ગમખ્વાર અકસ્માત થયો હતો. આ ઘટના કોસંબા નજીક બની છે. આ એક્સિડન્ટમાં કાર ધડાકાભેર કોઇ અજાણ્યા વાહન પાછળ અથડાઇ હતી, જેમાં ઘટના સ્થળે જ બે વ્યક્તિના મોત નીપજ્યાં હતાં. જ્યારે 3 વ્યક્તિને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, કોસંબા નજીક નેશનલ હાઈ-વે પર ગમખ્વાર એક્સિડન્ટ થયો છે. આ ઘટનામાં ભોગ બનેલી ઇકો કાર (નંબર જીજે 05 જે કે 6207) પૂરપાટ સ્પીડમાં હતી, જેથી ડ્રાઇવરે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતો કોઈ અજાણ્યા વાહન પાછળ અથડાઈ હતી. આ અકસ્માતમાં ઘટના સ્થળે જ બે વ્યક્તિના મોત નીપજ્યાં હતાં. જ્યારે 3 વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી.
આ ઘટનામાં કારના બોનેટ સહિતના પતરાનો કડૂસલો વળી ગયો હતો. સ્થાનિકોએ આવીને મૃતકો પર કપડા ઓઢાળ્યાં હતાં. જ્યારે ઈજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ જવાયાં હતાં. ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે, ઈકો કારના ડ્રાઈવરને સવારે ચારેક વાગ્યા આસપાસ ઝોકું આવી જતાં એક્સિડન્ટ સર્જાયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. અકસ્માત બાદ અજાણ્યો વાહનચાલક જતો રહ્યો હતો. જેથી કાર કયા વાહન સાથે કેવા સંજોગોમાં પાછળથી અથડાય તે અંગે આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
એક જ પરિવારમાં બે લોકોના મોતના પગલે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. જ્યારે ચંદ્રીકાબેન ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટનામાં મૃતકોની વાત કરીએ તો, રસિકભાઈ ભુરાભાઈ કવા (ઉ.વ.આ.60), અને ભાનુબેન અરવિંદ કવા (ઉ.વ.આ.55)નો સમાવેશ થાય છે.
જ્યારે ઈજાગ્રસ્તોના નામ રાજુભાઈ બાબુભાઈ કવા (ઉ.વ.આ.48), ભરતભાઈ કવા -ડ્રાઈવર(ઉ.વ.આ.50) અને ચંદ્રીકાબેન રસિકભાઈ કવા (ઉ.વ.આ.58)નો સમાવેશ થાય છે.