Repo Rate નાણા નીતિ સમિતિ 4 જૂનથી ચર્ચા શરૂ કરશે, 6 જૂને નિર્ણય; 0.25% ઘટાડાની શક્યતા, ફુગાવો નિયંત્રણમાં અને GDP વૃદ્ધિ ધીમી
Repo Rate ભારતીય રિઝર્વ બેંક (RBI) તરફથી સામાન્ય લોકોને વધુ એક મોટી રાહત મળવાની શક્યતા છે. માહિતી મુજબ, RBI આગામી નાણાકીય નીતિ બેઠકમાં સતત ત્રીજી વખત વ્યાજદર (રેપો રેટ) ઘટાડવા જઈ રહી છે. બજાર વિશ્લેષકોનું માનવું છે કે ચાલુ નાણાકીય સ્થિતિને ધ્યાનમાં લેતા, રેપો રેટમાં 0.25%નો ઘટાડો થઇ શકે છે, જેને કારણે લોન અને EMI વધુ સસ્તી બનશે.
નાણાકીય નીતિ સમિતિ (MPC) 4 જૂનથી દ્વિમાસિક નીતિ પર ચર્ચા શરૂ કરશે અને નિર્ણય 6 જૂને જાહેર થવાનું છે. હાલમાં રેપો રેટ 6% છે, જે અગાઉ ફેબ્રુઆરી અને એપ્રિલમાં બે વખત ઘટાડીને અહીં સુધી લાવવામાં આવ્યો છે. જો આવનારી બેઠકમાં પણ ઘટાડો થાય, તો આ વર્ષમાં કુલ 0.75%નો ઘટાડો થશે.
રેપો રેટ એ દર છે જેમાં RBI વ્યાજના બદલામાં વાણિજ્યિક બેંકોને ધિરાણ આપે છે. રેપો રેટ ઘટાડવાથી બેંકોની લોનની દર ઘટે છે, જેના કારણે ગ્રાહકો માટે હોમ લોન, કાર લોન અને પર્સનલ લોન વધુ સસ્તી બને છે.
આર્થિક વિશ્લેષકોનું કહેવું છે કે GDP વૃદ્ધિ દરમાં ધીમી ગતિ અને નિયંત્રિત ફુગાવો વ્યાજદરમાં રાહત આપવાનું માર્ગ મોકળું કરે છે. FY25માં GDP વૃદ્ધિ દર 6.5% રહ્યો છે, જ્યારે ગયા વર્ષે તે 9.2% હતો. જોકે, માર્ચ ક્વાર્ટરમાં GDP વૃદ્ધિ 7.4% રહી, જે અપેક્ષા કરતાં વધુ હતી.
ICRAના મુખ્ય અર્થશાસ્ત્રી અદિતિ નાયરએ જણાવ્યું કે ફુગાવો 4% લક્ષ્યાંકની અંદર રહેવાની ધારણા છે, તેથી નીતિમાં “ઉદાર” વલણ જળવાઈ રહે તેવી સંભાવના છે. RBIના વલણમાં પણ બદલાવ આવ્યો છે — એપ્રિલમાં તેણે પોતાનું નીતિ વલણ ‘તટસ્થ’થી ‘ઉદાર’ કર્યું હતું, જે દરમાં ઘટાડાના સંકેતો આપે છે.