Visavadar: ભાયાણી-રીબડિયા દાવેદાર છતાં ભાજપે ઉડાડયો છેદ
Visavadar: ભારતીય જનતા પક્ષ શિસ્ત, વાયદાનો આગ્રહી ગણાતો હતો. અત્યાર સુધી અન્ય પક્ષમાંથી આવેલાઓને આપેલા વાયદાઓ નિભાવ્યા તેમાં પરિણામની પરવા કરી નથી પરંતુ કદાચ પ્રથમ વખત વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં વાયદો વિસરી, આયાતીને પડતા મૂકી પરિણામ માટે સંગઠન અને સરકાર સાથે નજીકનો ઘરોબો ધરાવતા કિરીટ પટેલની પસંદગી કરી, સૌને ચોંકાવ્યા છે.
2017ની વિધાનસભા ચૂંટણીમાં આ બેઠક ઉપર કોંગ્રેસનાં હર્ષદ રીબડીયાએ ભાજપના વર્તમાન ઉમેદવાર કિરીટ પટેલને હરાવ્યા હતા. બાદમાં રીબડીયાની લોકપ્રિયતાથી આકર્ષાઈ ભાજપે પોતાના પક્ષમાં આવકાર્યા હતા અને આગામી ચૂંટણીમાં પક્ષના ઉમેદવારનો વાયદો આપ્યો હતો. આ વાયદા મુજબ ભાજપએ 2022ની ચૂંટણીમાં પોતાના ઉમેદવાર તરીકે આ બેઠક ઉપર મેદાનમાં ઉતાર્યા હતા પરંતુ પક્ષપલ્ટાના લેબરથી વિસાવદર-ભેસાણનાં મતદારોએ જાકારો આપતા આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભૂપત ભાયાણી વિજેતા થયા હતા. આ પરિણામને હર્ષદ રીબડિયાએ પીટીશન દ્વારા હાઈકોર્ટમાં પડકાર્યુ હતું.
દરમિયાન વિસાવદરના ધારાસભ્ય ભાયાણીએ ભાજપમાં જોડાવાની હિલચાલ શરૂ કરતાં મતદારો આગ બબુલા બન્યા હતા અને સભામાં સંભળાવી દીધુ હતુ કે, ‘કમળ’થી નારાજ થઈ સાવરણાની પસંદગી કરી છે તેથી આ નિર્ણય અમોને સ્વીકાર્ય નથી. મતદારોના અડગ મિજાજ જોઈ ભૂપત ભાયાણીને ભાજપ પ્રત્યે પ્રેમ હોવાથી ધારાસભ્ય પદેથી રાજીનામું ધર્યા બાદ ભાજપનો ભગવો ધારણ કર્યો હતો. ત્યારે ભાજપ મોવડી મંડળએ આ બેઠકની પેટા ચૂંટણીમાં પક્ષના ઉમેદવાર બનાવવાનો વાયદો કર્યો હતો પણ હાઈકોર્ટમાં ભાજપના રીબડીયાની પીટીશનને કારણે લોકસભા સાથે ચૂંટણી થઈ શકી નહી. તે સમજતા હતા કે ચૂંટણીનો માર્ગ મોકળો કરૂં તો પણ ટિકિટ પોતાને મળે તેમ નથી.
આયાતી રીબડિયા ભાજપના આગેવાન, રાજ્ય અને કેન્દ્રમાં ભાજપની સરકાર હોવા છતાં રીબડિયાને પીટીશન પરત લેવા માટે રીઝવી શક્યા નહી, પરિણામે અઢી વર્ષ સુધી આ બેઠક વિસ્તારને ધારાસભાથી વંચિત રખાતા અંતે લોકોએ અવાજ ઉઠાવતા જાહેર જીવન જાળવી રાખવા રીબડિયાએ પીટીશન પરત ખેંચતા ચૂંટણીનો માર્ગ મોકળો થયો હતો.
આ બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપએ આયાતી ભૂપત ભાયાણીને ઉમેદવાર બનાવવાનો વાયદો આપ્યો પણ તેથી ભાજપના દાવેદારો, આગેવાનો માનતા હતા કે ટિકિટ ભાયાણીને જ મળશે. પ્રદેશ નિરીક્ષકો સેન્સ માટે આવ્યા ત્યારે ભૂપત ભાયાણી, હર્ષદ રીબડિયાએ દાવેદારી નોંધાવી હતી. પણ ટિકિટ માટે અગાઉ જ રાજરમત રમાઈ હોય તેમ ભૂપત ભાયાણીનો સૂર બદલાયો હતો અને મીડિયા સમક્ષ જાહેર કહ્યું હતું કે, પક્ષ ગમે તેને ટિકિટ આપે અમે તેને ખભે બેસાડી જીતાડશું. જે દાવેદાર અને હક્કદાર હતા તેનો સૂર શંકાસ્પદ હતો તે પરથી સંદેશો મળતો હતો કે, ઉમેદવાર અન્ય કોઈ હશે.
ભાજપનાં વરિષ્ઠ આગેવાનોએ નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું કે, કિરીટ પટેલ ધારાસભ્ય તરીકે ચૂંટાઈ મંત્રી પદના સ્વપ્ન જોવે છે તેથી તેઓ અગાઉ પરાજય ચાખ્યો છતાં વધુ એક વખત ટિકિટ મેળવી પોતાનું સ્વપ્ન સાકાર કરવા મજબૂત દાવેદાર ભૂપત ભાયાણીને ચૂંટણી ન લડવા રાજી કરી, પોતાનો ઈરાદો પાર પાડયો છે