Kaprada કપરાડાના આંતરિયાળ ગામોમાં પી.એચ.સી. સેન્ટરો બંધ હાલતમા
– સરકારે ગરીબ આદિવાસી પરિવારોને ઘર આંગણે આરોગ્ય સેવા મળી રહે એવા ઉમદા હેતુથી તાલુકામાં પી.એચ.સી. સેન્ટરો ચાલુ કર્યા હતા પરંતુ જિલ્લા આરોગ્ય વિભાગની બેદરકારીને કારણે સંખ્યાબંધ પી.એચ.સી. સેન્ટરો બંધ હાલતમા
– કોરોના કાળ દરમિયાન તમામ પી.એચ.સી. સેન્ટરો ધમધમતા હતા. કોરોના બાદ ડોક્ટરો પણ ગાયબ થઈ ગયા છે
– જિલ્લા આરોગ્ય વિભાગની આડોડાઈને કારણે ગરીબ આદિવાસી પરિવારે સામાન્ય બિમારીની સારવાર માટે દૂર સુધી જવું પડે છે.
– અનેક રજૂઆતો છતાં પરિણામ શૂન્ય
Kaprada કપરાડા તાલુકાના આંતરિયાળ વિસ્તારના ગામોમાં આવેલા પી.એચ.સી. સેન્ટરો ( આયુષ્યમાન આરોગ્ય મંદિરો ) બંધ હાલતમા પડ્યા છે. કેટલાક સેન્ટરોમાં જંગલી ઝાડો ઊગી નીકળ્યા છે. સ્થાનિક લોકોએ સામાન્ય બીમારી માટે છેક કપરાડા, ધરમપુર, નાનાપોંઢા વગેરે ગામો સુધી લંબાવું પડે છે. બારેમાસ બંધ રહેતા પી.એચ.સી. સેન્ટરો નિયમિત રીતે શરૂ કરવા માટે અનેક રજૂઆતો થઈ ચૂકી છે પરંતુ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કોઈ ઠોસ કાર્યવાહી કરવામાં આવતી નથી. અધિકારીઓની આડોડાઈને કારણે મોટે ભાગે આદિવાસી ગરીબ પરિવારોની હાલત કફોડી થવા પામી છે.
પ્રાપ્ત વીગત અનુસાર કપરાડા તાલુકાના ઊંડાણના ગામોમાં વસવાટ કરતા ગરીબ આદિવાસી પરિવારોને ઘર આંગણે સારી અને ઝડપી આરોગ્ય સારવાર મળી રહે એવા શુભાશયથી દરેક ગામોમાં પી.એચ.સી. આયુષ્યમાન મંદિરો શરૂ કરાયા હતા. પરંતુ જિલ્લા આરોગ્ય વિભાગના જવાબદાર અધિકારીઓની લાલીયાવાડી ને કારણે સંખ્યાબંધ પી.એચ.સી. સેન્ટરો બંધ હાલતમા પડ્યા છે અને જર્જરિત થઈ રહ્યા છે. કપરાડા તાલુકાના લિખવડ, દહી,ખેડ, રાયમાળ, બુરવડ, ઘાણવેરી, ફતેપુર, પીપરોણી, ચેપા, શાહુડા , કુકુનિયા, કાંસદા, ટીસ્કરી જંગલ, મોટી પલસાણ, એકલેરા, મધુબન,નગર, ખાતુનિયા, ઉમલી, કેતકી, કરચોંડ, વાલવેરી, માલઘર, બ્રાહ્મણવાડા, પેંઢારદેવી , રોહિયાળ તલાટ, સહિતના સંખ્યાબંધ ગામોમાં છેલ્લા કેટલાય વર્ષોથી પી. એચ. સી. સેન્ટરો બંધ હાલતમા પડ્યા છે.
આ પી. એચ.સી. સેન્ટરોમાં ડોક્ટરો આવતા નથી. બારેમાસ બંધ રહેતા પી.એચ.સી. સેન્ટરોમાં કારણે ગરીબ આદિવાસી પરિવારોએ સામાન્ય બીમારી માટે કપરાડા, નાનાપોંઢા કે ધરમપુર સુધી સુધી લઈ જવા પડે છે. આ પી. એચ. સી. સેન્ટરો કોરોના કાળ ૨૦૨૦-૨૧ ના વર્ષ દરમિયાન કાયમ ખુલ્લા રહેતા હતા અને ડોક્ટરો પણ નિયમિત આવતા હતા. કોરોના કાળ બાદ પી.એચ.સી. સેન્ટરોમાંથી ડોક્ટરો પણ ગાયબ થઈ ગયા છે.
હાલમાં આ સેન્ટરોમાં ડૉક્ટરોની ગેરહાજરીને કારણે તમામ પી.એચ.સી. સેન્ટરો બંધ હાલતમા પડ્યા છે. પી.એચ.સી. સેન્ટરો ચાલુ કરવા માટે સ્થાનિકોએ અનેકવાર રજૂઆતો કરી છે. પરંતુ આરોગ્ય વિભાગના અધિકારીઓ કોઈ કાર્યવાહી કરતા નથી. આવા ગરીબ આદિવાસી પરિવારોની હાલત કફોડી થવા પામી છે