Bengaluru Stampede RCBના વિજય પછીના સ્ટેમ્પેડ પછી BCCI સક્રિય થયું, ભવિષ્યમાં આવી ઘટના ન બને એ માટે નવી નીતિ બનાવાશે
Bengaluru Stampede બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમ પાસે IPL 2025ના વિજય પર રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) દ્વારા આયોજિત વિજયોત્સવ દરમિયાન થયેલી ભાગદોડમાં 11 લોકોના મૃત્યુ પામ્યા બાદ દેશભરમાં આ ઘટનાની નિંદા થઈ રહી છે. cricket સંચાલન સંસ્થા BCCI હવે આ મામલે ગંભીરતા પૂર્વક પગલાં લેવાની તૈયારીમાં છે.
BCCIના સેક્રેટરી દેવજીત સૈકિયાએ આપેલા નિવેદન મુજબ, “આટલી મોટી દુર્ઘટનાને અવગણી શકાય નહીં. ભવિષ્યમાં ટાઇટલ ઉજવણી માટે ચોક્કસ ધોરણો નક્કી કરવાનું હવે અનિવાર્ય છે. BCCI હવે મૂક પ્રેક્ષક રહી શકે નહીં.”
તેમણે સ્પષ્ટતા કરી કે ભલે આ કાર્યક્રમ ખાનગી રીતે RCB દ્વારા આયોજન પામેલો હોય, પણ BCCI તરીકે ભારતના ક્રિકેટ માટે તેઓ જવાબદાર છે. “આ ઘટના રમતના ઈકોસિસ્ટમનો જ ભાગ છે અને અમારી ફરજ છે કે ભવિષ્યમાં આવી ચૂકો પુનરાવર્તિત ન થાય,” તેમ સૈકિયાએ ઉમેર્યું.
આ ઘટનાને પગલે કર્નાટક સરકારે પણ પગલાં લીધા છે. કેટલાક આયોજક અધિકારીઓ અને સુરક્ષા જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસએ પણ અનેક ધરપકડો કરી છે.
ઘટનાના એક દિવસ બાદ ટીમ ઈન્ડિયાના કોચ ગૌતમ ગંભીરે પણ જાહેરપણે રોડ શોની વિરૂદ્ધ વાત કરી હતી. તેમણે કહ્યું, “મને લાગ્યું કે જીવ વધુ કિંમતી છે. આવી ઉજવણી બંધ દરવાજા પાછળ કે સ્ટેડિયમમાં થવી જોઈએ.”
આ તમામ પરિપ્રેક્ષ્યમાં BCCI હવે IPL વિજય બાદની ઉજવણી માટે નીતિગત ધોરણો અને સલામતી નીતિઓ વિકસાવવા માટે તૈયારીમાં છે, જેથી ભાવિમાં લોકોના જીવ સાથે કોઈ જાતનું જોખમ ન રહે.