Rohit Sharma ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યા બાદ રોહિત શર્માની નિવૃત્તિની અટકળો વચ્ચે BCCI હવે 2027 વર્લ્ડ કપ માટે નવી કેપ્ટનશીપ યોજના પર વિચારણા કરી રહી છે.
Rohit Sharma ભારતીય વનડે ટીમના હાલના કપ્તાન રોહિત શર્માની ભવિષ્યની ભૂમિકા પર એક વખત ફરીથી ચર્ચા તેજ બની છે. એક તાજેતરના અહેવાલ અનુસાર, BCCI એ આશા રાખી હતી કે રોહિત ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પછી ODI ફોર્મેટમાંથી નિવૃત્તિ લેશે. જોકે, આ વિશે કોઈ ઔપચારિક ચર્ચા થઈ નથી.
શિખર પર રહેલી કારકિર્દી
રોહિત શર્માએ અત્યાર સુધી 273 ODI મેચોમાં 11,168 રન બનાવીને એક શ્રેષ્ઠ કારકિર્દી સાબિત કરી છે. શ્રીલંકા સામે 264 રનની વેસ્ટ ઇનિંગ્સ આજે પણ ODI ઇતિહાસમાં શ્રેષ્ઠ છે. તાજેતરમાં તેણે ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઇનલમાં 76 રન બનાવીને ભારતને વિજય અપાવ્યો હતો અને ‘પ્લેયર ઓફ ધ મેચ’ બન્યો હતો.
નવી કેપ્ટનશીપ યોજના
અહેવાલ મુજબ, પસંદગી સમિતિના અધ્યક્ષ અજિત અગરકર અને ટીમ મેનજમેન્ટ હવે ODI માટે નવા કેપ્ટનની શોધમાં છે. સૂત્રો જણાવે છે કે શુભમન ગિલનું નામ સૌથી આગળ છે. જો આવું થાય તો ગિલ ટેસ્ટ પછી ODI ટીમના પણ કેપ્ટન બની શકે છે.
શ્રેયસ ઐયર પણ દાવેદાર
અહેવાલમાં ઉલ્લેખ છે કે કેટલાક ભૂતપૂર્વ ક્રિકેટરો શ્રેયસ ઐયરને પણ ODI કેપ્ટન તરીકે જોતા હતા, પણ હાલમાં BCCIના નિર્ણય પર અંતિમ મોહર લાગવી બાકી છે.
કારણ શું છે?
રોહિત 2027માં 40 વર્ષનો થશે અને BCCI હવે આગામી વર્લ્ડ કપ માટે લાંબા ગાળાની યોજના પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. વર્કલોડ મેનેજમેન્ટ અને યુવા ખેલાડીઓના વિકલ્પને આગળ ધપાવવાનો ઈરાદો હવે સ્પષ્ટ દેખાઈ રહ્યો છે.