Ram Mohan Naidu On Ahmedabad Plane Crash : કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુે કહ્યું, દુર્ઘટનાનું સત્ય જાણવા માટે બ્લેક બોક્સના ડીકોડિંગની રાહ જોવાઈ રહી છે
Ram Mohan Naidu On Ahmedabad Plane Crash : અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટનાને લઈને આખા દેશમાં દુઃખ અને ચિંતાનું વાતાવરણ છવાયું છે. આ ભયંકર ઘટનાની તપાસ હવે ખૂબ ગંભીરતાથી હાથ ધરાઈ રહી છે. દેશના નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ કિંજરાપુએ પોતાનું પહેલું સત્તાવાર નિવેદન આપ્યું છે, જેમાં તેમણે દુર્ઘટનાના કારણો જાણવા માટે બ્લેક બોક્સના ડીકોડિંગને મહત્વપૂર્ણ ગણાવ્યું છે.
વિમાની દુર્ઘટનાએ દિલ હચમચાવી દીધું
ગુરુવારે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈમથક પરથી લંડન જવા નીકળેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ ટેકઓફ પછી તરતજ દુર્ઘટનાનો શિકાર બની. દુર્ઘટનામાં 241 યાત્રીઓના મૃત્યુ થયા હોવાની જાહેરાત મંત્રી નાયડુએ કરી છે. તેમણે કહ્યું કે, “છેલ્લાં બે દિવસ મારો અને મંત્રાલય માટે અત્યંત કઠિન સમય રહ્યો છે.”
વિશેષ સહાનુભૂતિ વ્યક્ત કરી
નાયડુએ દુઃખ વ્યક્ત કરતાં કહ્યું કે, “જે પરિવારોએ પોતાના લાડકવાયા ગુમાવ્યા છે, તેમના માટે મારી ઊંડી સંવેદના છે. હું પણ મારા પિતાને અકસ્માતમાં ગુમાવેલો હોવાથી તેમની પીડા સમજી શકું છું.”
તપાસ માટે ‘બ્લેક બોક્સ’ મહત્વનું સાધન
નાયડુએ જણાવ્યું કે, “હું જાતે ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને ત્યાંના પરિસ્થિતિઓને ખૂબ નજીકથી જોયા. ત્યારે જ ગુજરાત સરકાર અને એનડીઆરએફ ટીમ બચાવ કામગીરીમાં જોડાઈ ચૂકી હતી.”
તેમણે સ્પષ્ટ કર્યું કે, વિમાનનો બ્લેક બોક્સ તપાસ માટે કેન્દ્રસ્થાન છે, કારણ કે તેમાં પાયલોટ્સ વચ્ચેના સંવાદ, તકનિકી ડેટા અને વિમાની અવસ્થાની સંપૂર્ણ માહિતી હોય છે.
AAIB દ્વારા તપાસ ચાલુ
વિમાન દુર્ઘટના અંગે Aircraft Accident Investigation Bureau (AAIB) દ્વારા વિશિષ્ટ તકનિકી તપાસ ચાલી રહી છે. નાયડુએ જણાવ્યું કે, “શુક્રવારે સાંજના પાંચ વાગ્યે દુર્ઘટનાની જગ્યાએથી બ્લેક બોક્સ મળ્યું છે. હવે તેનું વિશ્લેષણ કર્યા પછી જ જાણ થઇ શકશે કે અંતે શું થયું હતું – ટેકનિકલ ખામી હતી? માનવીય ભૂલ હતી? કે કંઈ બીજું?”
તેમણે ઉમેર્યું કે આખા દેશમાં નજર હવે આ તપાસ રિપોર્ટ પર છે, જે સંબંધિત તથ્યો બહાર લાવશે.
આ દુર્ઘટનાએ દેશના ઉડ્ડયન ક્ષેત્ર સામે એક મોટો પ્રશ્નચિહ્ન ઊભો કર્યો છે. હવે આશા છે કે બ્લેક બોક્સના ડેટા અને AAIBની નિષ્પક્ષ તપાસ પરથી સાચા કારણો ખુલશે અને ભવિષ્યમાં આવું દુઃખદ બનાવ ફરી ન બને તે માટે યોગ્ય પગલાં લેવાશે.