Ahmedabad Plane Crash: ટાટા અને એર ઈન્ડિયાની સહાય મળીને પ્રતિમૃતક પરિવારને મળશે ₹1.25 કરોડ
Ahmedabad Plane Crash: 12 જૂન 2025ના રોજ અમદાવાદના ભયાનક વિમાન અકસ્માત બાદ, ટાટા ગ્રૂપ અને એર ઈન્ડિયાએ મૃતકોના પરિવારજનો માટે મહત્વપૂર્ણ સહાયની જાહેરાત કરી છે. લંડન જઈ રહેલું ડ્રિમલાઈનર વિમાન ઊડાન બાદના થોડા સમયમાં મેડિકલ કોલેજના હોસ્ટેલ પર દુર્ઘટનાગ્રસ્ત બન્યું હતું. આ દુર્ઘટનામાં કુલ 265 લોકોના જીવ ગયા હતા, જેમાંથી 241 મુસાફરો વિમાન અંદર હતા અને 24 સ્થાનિક રહેવાસીઓ હોસ્ટેલ અને આજુબાજુના વિસ્તારમાં હાજર હતા.
તાત્કાલિક સહાયરૂપે 25 લાખ રૂપિયાનું વચગાળાનું વળતર
એર ઈન્ડિયા દ્વારા જાહેર કરાયું છે કે તેઓ દરેક મૃતકના પરિવારને ₹25 લાખની વચગાળાની નાણાકીય સહાય ફાળવશે. એરલાઇનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ સહાય પીડિત પરિવારના તાત્કાલિક ખર્ચો અને દૈનિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે છે. તેમણે ઉમેર્યું કે, “આ દુઃખદ ઘટનાથી અમે ખૂબ દુઃખી છીએ. અને આ સંજોગોમાં અમે એમના પરિવારજનોની સાથે ખભે ખભો મિલાવીને ઉભા છીએ.”
ટાટા ગ્રૂપ દ્વારા એક કરોડ રૂપિયાની સહાય
ટાટા ગ્રૂપે પણ પોતાની જવાબદારી નિભાવતા પ્રત્યેક મૃતકના પરિવાર માટે ₹1 કરોડની સહાય જાહેર કરી છે. આ સહાય માત્ર વિમાની અંદર રહેલા મુસાફરો માટે જ નહીં પરંતુ દુર્ઘટનામાં હોસ્ટેલ કે આસપાસના વિસ્તારોમાં મૃત્યુ પામેલા સ્થાનિક લોકો માટે પણ લાગૂ રહેશે. ટાટા ગ્રૂપે સ્પષ્ટ કર્યું છે કે તમામ પીડિતોને આર્થિક સુરક્ષા આપવા માટે તેઓ પ્રતિબદ્ધ છે.
મૃતક પરિવારો માટે કુલ સહાય રકમ ₹1.25 કરોડ
એર ઈન્ડિયા અને ટાટા ગ્રૂપની મળી ને કુલ સહાય રકમ દરેક પીડિત પરિવાર માટે ₹1.25 કરોડ થવા જઈ રહી છે. ટાટા ગ્રૂપ દ્વારા આપવામાં આવતી ₹1 કરોડની સહાય ઉપરાંત, એર ઈન્ડિયા તરફથી ₹25 લાખનું વચગાળાનું વળતર રહેશે.
દુર્ઘટનાનું કારણ જાણવા માટે તપાસ શરૂ
દુર્ઘટનાગ્રસ્ત થયેલું વિમાન લગભગ 11 વર્ષ જૂનુ હતું અને ટેકઓફ પછી માત્ર બે મિનિટમાં જ બી.જે. મેડિકલ કોલેજના હોસ્ટેલ સાથે અથડાયું હતું. ઘટનાના સ્થળે મકાનો અને હોસ્ટેલની બાંધકામોને પણ નુકસાન થયું છે. વિમાનનું બ્લેક બોક્સ કાટમાળમાંથી મળ્યું છે અને તેના આધારે હવે દુર્ઘટનાની તપાસ આગળ વધશે. કેન્દ્ર સરકારે આ ઘટનાની ઊંડી તપાસ કરવા માટે એક વિશેષ સમિતિની રચના કરી છે.