IND vs ENG Test Series 259 રન ફટકારનાર બેટ્સમેનને પાંસળીમાં ઇજા, હવે પ્લેઇંગ ઇલેવનમાં કોણ આવશે?
IND vs ENG Test Series ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પહેલી ટેસ્ટ મેચ 20 જૂનથી લીડ્સના હેડિંગ્લી સ્ટેડિયમમાં રમાવાની છે. મેચ પહેલા જ ભારતીય ટીમ માટે મુશ્કેલી ઉભી થઈ છે. ફોર્મમાં ચાલી રહેલા મિડલ ઓર્ડર બેટ્સમેન કરુણ નાયરને નેટ સેશન દરમિયાન ઇજા થઈ છે. પ્રેક્ટિસ દરમિયાન ઝડપી બોલર પ્રસિદ્ધ કૃષ્ણાનો બોલ બેટ ચૂકી ગયો અને સીધો પાંસળી પર વાગતા કરુણ નાયર ઘાયલ થયો.
કરુણ નાયરે થોડા સમય પહેલાં જ ઇંગ્લેન્ડ લાયન્સ સામેની પ્રેક્ટિસ મેચમાં 259 રનની ઝળહળતી ઇનિંગ રમી હતી. 8 વર્ષ બાદ ટીમ ઇન્ડિયામાં વાપસી કરનારા કરુણ નાયર માટે આ ઇજા કરિયર માટે ફરીથી પડકારરૂપ સાબિત થઈ શકે છે. હાલમાં તેની ફિટનેસ પર સસ્પેન્સ યથાવત છે અને બીસીસીઆઈ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.
મિડલ ઓર્ડર માટે વિકલ્પો પર વિચારણા
જો કરુણ નાયર પહેલી ટેસ્ટ માટે ઉપલબ્ધ નહીં રહે, તો ટીમ મેનેજમેન્ટ અભિમન્યુ ઈશ્વરન અથવા સાઈ સુદરશન પર વિશ્વાસ મૂકી શકે છે. અભિમન્યુ ઈશ્વરનનું નામ ખાસ કરીને આગળ આવી રહ્યું છે, કારણ કે તેણે ભારત એ અને ડોમેસ્ટિક ક્રિકેટમાં સતત શ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું છે.
ટીમ મેનેજમેન્ટ ફાઈનલ નિર્ણયો મેચની સવારે અથવા ટોસ પહેલા લેશે. કરુણ નાયરની ગેરહાજરી મિડલ ઓર્ડર માટે મોટો ખોટ થઇ શકે છે, કારણ કે તે લંબિત ઇનિંગ રમવાની ક્ષમતા ધરાવે છે.
ઇંગ્લેન્ડની પ્લેઇંગ ઇલેવન જાહેર, ભારત તરફથી હાલ રાહ જોવાઈ રહી છે
ઈંગ્લેન્ડે પોતાની પ્રથમ ટેસ્ટ માટે 11 ખેલાડીઓની યાદી જાહેર કરી દીધી છે. બેન સ્ટોક્સના નેતૃત્વમાં જેમી સ્મિથ, હેરી બ્રુક, જો રૂટ અને ઓલી પોપ જેવા નામો સામેલ છે. જ્યારે ભારત તરફથી હજુ સુધી પ્લેઇંગ ઇલેવન જાહેર કરવામાં આવી નથી.
હવે જોવાનું એ રહેશે કે કરુણ નાયરની જગ્યાએ કોણ વિકલ્પ તરીકે પસંદ થશે અને શું ભારત આ સિરીઝનો આરંભ જીતથી કરી શકે છે કે નહીં.