Tendulkar-Anderson Trophy 2025: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ શ્રેણી આજથી લીડ્સના હેડિંગ્લી સ્ટેડિયમથી શરૂ થશે. જ્યારે બંને ટીમો નવી ટ્રોફી “તેંડુલકર-એન્ડરસન ટ્રોફી” માટે મેદાનમાં ઉતરશે, ત્યારે ભારત માટે ઇતિહાસ ફરી લખવાનો મોકો હશે.
Tendulkar-Anderson Trophy 2025: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની બહુપ્રતીક્ષિત 5 મેચની ટેસ્ટ શ્રેણી આજથી શરૂ થવા જઈ રહી છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) 2025-27 ચક્રની શરૂઆત માટે બંને ટીમો ઉત્સાહભેર તૈયાર છે. પ્રથમ મેચ લીડ્સના હેડિંગ્લી સ્ટેડિયમમાં રમાશે, જ્યાં ભારતીય ટીમનો ઈતિહાસ ખૂબ જ મિશ્ર રહ્યો છે.
હેડિંગ્લી મેદાન પર ભારતે અત્યાર સુધી 7 ટેસ્ટ રમ્યા છે જેમાં માત્ર 2 જીતી છે, 4 હાર્યો અને 1 ડ્રો રહ્યો છે. 2021માં અહીં ટીમ ઇન્ડિયાને ઇંગ્લેન્ડ સામે 76 રનની હાર મળેલી.
આ શ્રેણી “તેંડુલકર-એન્ડરસન ટ્રોફી” નામે રમાઈ રહી છે, જે ભારતના દિગ્ગજ બેટ્સમેન સચિન તેંડુલકર અને ઇંગ્લેન્ડના ઝડપી બોલર જેમ્સ એન્ડરસનના નામ પર છે. ટ્રોફીનું અનાવરણ બંને દિગ્ગજોએ સાથે મળીને કર્યું.
ભારત તરફથી પહેલી વાર 25 વર્ષીય શુભમન ગિલ કેપ્ટનશીપ કરશે જ્યારે ઇંગ્લેન્ડનું નેતૃત્વ અનુભવી ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ પાસે છે. વિરાટ કોહલી અને રોહિત શર્માની નિવૃત્તિ બાદ, ગિલ માટે આ શ્રેણી મોટી જવાબદારી અને તક સાથે આવી છે.
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે અત્યાર સુધી 136 ટેસ્ટ રમાઈ છે જેમાં ઇંગ્લેન્ડે 51, જ્યારે ભારતે 35 જીત્યા છે. ભારતે ઇંગ્લેન્ડમાં અત્યાર સુધી 67 ટેસ્ટમાંથી માત્ર 9 જીત્યા છે. છેલ્લી વખત ભારતે 2007માં દ્રવિડની કેપ્ટનશીપ હેઠળ ઇંગ્લેન્ડમાં શ્રેણી જીતી હતી.
આ વખતની નવી યુવા ભારતીય ટીમ માટે આ શ્રેણી ઇતિહાસ બદલવાની તક છે – શું શુભમન ગિલ એ ખિતાબ ભારત લાવી શકશે?