International Yoga Day વડાપ્રધાનની જન્મભૂમિ વડનગર યોગ ઉત્સવનું કેન્દ્ર
International Yoga Day ગુજરાતમાં ૧૧મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ રાજ્ય કક્ષાએ ૨૧મી જૂન, ૨૦૨૫ શનિવારના રોજ વડનગરમાં ઉજવાશે. “યોગ ફોર વન અર્થ, વન હેલ્થ” થીમ હેઠળ યોજાતી આ ઉજવણી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જન્મભૂમિ વડનગર ખાતે યોજાશે, જેમાં મુખ્ય કાર્યક્રમ તાના-રીરી ગાર્ડનમાં સવારે ૬ વાગ્યાથી શરૂ થશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને રમત-ગમત મંત્રી હર્ષ સંઘવી આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. વડાપ્રધાન મોદીની વિશાખાપટ્ટનમથી યોગ સાધના સાથે જોડાઈ દેશવાસીઓને સંબોધવાની પણ યોજના છે, જેને રાજ્યભરમાં જીવંત પ્રસારિત કરવામાં આવશે.
ગુજરાતભરમાં યોગ ઉજવણીનો વ્યાપ: 1.5 કરોડથી વધુ લોકોનો ભાગીદારી લક્ષ્ય
આ વર્ષે “સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત”ના ધ્યેય સાથે રાજ્યના શહેરોથી ગામડાં સુધી યોગના કાર્યક્રમો યોજાશે. રાજ્ય સરકાર, યોગ બોર્ડ અને રમતગમત વિભાગના સહયોગથી યુનિવર્સિટીઓ, શાળાઓ, કૉલેજો, પંચાયતો અને વિવિધ સરકારી વિભાગોમાં યોગ કાર્યક્રમો યોજાશે.
૧૮,૨૨૬ ગ્રામ પંચાયત અને ૨૫૧ તાલુકા પંચાયતોમાં ૧૦.૪૦ લાખથી વધુ લોકોની ભાગીદારીના આયોજન સાથે, ૪૫ હજારથી વધુ શાળાઓ અને ૨૬૦૦થી વધુ કોલેજોમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો યોગમાં સહભાગી બનશે
વડનગરના ૧૧ આઇકોનિક સ્થળો પર ખાસ કાર્યક્રમો
તાના-રીરી ગાર્ડન ઉપરાંત, શર્મિષ્ઠા તળાવ, હાટકેશ્વર મંદિર, કીર્તિ તોરણ, વડનગર મ્યુઝિયમ, વડનગર રેલવે સ્ટેશન અને હાથી દેરાસર જેવા ૧૧ આઇકોનિક સ્થળોએ countdown યોગ કાર્યક્રમો યોજાયા છે. ભુજંગાસનમાં વિશ્વ રેકોર્ડ બનાવવાનું પણ ગુજરાતે લક્ષ્ય રાખ્યું છે.
યોગ માત્ર કસરત નહિ, પણ આરોગ્ય અને મનની શાંતિ માટે આવશ્યક સાધન બની ગયું છે. ૧૧મો યોગ દિવસ વડનગર જેવા ઐતિહાસિક સ્થળે ઉજવાતા, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે યોગ પ્રત્યે જાગૃતિ વધારશે. “યોગ ફોર વન અર્થ, વન હેલ્થ” થકી સમગ્ર વિશ્વમાં સ્વાસ્થ્ય અને સંતુલનનો સંદેશ આપવામાં આવશે.