Gram Panchayat Election: 45 વર્ષ સુધી સમરસ પંચાયત ચાલતી આવી, હવે ચાર ઉમેદવારો મેદાનમાં
Gram Panchayat Election: જામનગર જિલ્લાના વિભાપર ગામે 45 વર્ષ બાદ પ્રથમ વખત ગ્રામ પંચાયત માટે ચૂંટણી યોજાઈ રહી છે. આ ગામમાં છેલ્લા ચાર દાયકાથી કોઈ મતદાન નહોતું થયું, કેમ કે ગામના લોકોએ સંપ, સહકાર અને એકસૂત્રતાથી સમરસ પંચાયત દ્વારા ગામનો કારભાર ચલાવ્યો હતો. હવે યુવા પેઢીને લોકશાહીનો ખ્યાલ આવે તે માટે આ વખતે ચુંટણીનું આયોજન કરવામાં આવ્યું છે.
ચાર ઉમેદવારો મેદાનમાં
વિભાપરના પૂર્વ સરપંચ ધીરુભાઈ પણસારાએ જણાવ્યું કે, “છેલ્લા 45 વર્ષથી ગામમાં કોઈ ચૂંટણી થઈ નથી, તમામ પદો માટે લોકો સમરસ રીતે પદગ્રહણ કરતા હતા. હવે ગામમાં આશરે 3,000–3,200 મતદારો હોવાથી ચાર ઉમેદવારો સરપંચ પદ માટે મેદાનમાં ઉતર્યા છે, જ્યારે 10 વોર્ડ માટે ઉમેદવારો જંગમાં છે. કોઈ વિવાદ કે તણાવ વિના ઉત્સાહભેર ચૂંટણી ચાલી રહી છે.”
યુવાઓ માટે લોકશાહીની પાઠશાળા
ગામમાં આ વખતે ચૂંટણી યોજવાનું મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે યુવા પેઢીને સરપંચ તથા પંચાયતના મતદાન અંગે જાગૃતિ મળે. ગ્રામજનો ઉત્સાહપૂર્વક મતદાનમાં ભાગ લઈ રહ્યા છે અને ગામના વિકાસ માટે પોતાનું યોગદાન આપી રહ્યા છે.
જામનગરમાં ગ્રામ પંચાયત ચૂંટણીનો માહોલ
જામનગર જિલ્લામાં ધ્રોલ, કાલાવડ, જામજોધપુર, જામનગર, લાલપુર તથા જોડિયા સહિત 187 ગ્રામ પંચાયતો માટે મતદાન યોજાઈ રહ્યું છે. જિલ્લામાં કુલ 4,42,577 મતદારોમાં 2,26,386 પુરુષ તથા 2,16,178 સ્ત્રી મતદારોનો સમાવેશ થાય છે. 426 મતદાન મથકોમાં 101 મતદાન મથકો સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે. ચૂંટણી પ્રક્રિયા માટે 2,244 સ્ટાફ, એએસપી તથા ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ સહિત 1,500 જવાન તૈનાત કરવામાં આવ્યા છે, તેમજ મતદાન મથકો, સ્ટ્રોંગરૂમ તથા મતગણતરી કેન્દ્ર પર લગભગ 1,915 જવાનો દ્વારા ચાંપતી વ્યવસ્થા કરવામાં આવી છે.