Chhota Udaipur Bridge Collapse: 6.31 કરોડના ખર્ચ બાદ પણ સમસ્યા અટકતી નથી , છોટાઉદેપુરમાં પુલના અભાવે રાહદારીઓ જીવના જોખમે રેલવે ટ્રેક પરથી પસાર થવા મજબૂર
Chhota Udaipur Bridge Collapse: છોટાઉદેપુર જિલ્લાના પાવીજતપુર નજીક ભારજ નદી પર તૂટી પડેલા પુલ બાદ ત્રણ વર્ષમાં તંત્રએ બે ડાયવર્ઝન રસ્તાઓ બનાવ્યા, પણ બંને ચોમાસાની મોસમમાં તૂટી ગયા. પ્રથમ ડાયવર્ઝન 2.31 કરોડમાં બન્યું, જે માત્ર એક જ ચોમાસું ટક્યું. ત્યારબાદ 4 કરોડના ખર્ચે બનાવેલું બીજું ડાયવર્ઝન પણ હવે તિરાડો તથા ખાડાઓ પેદા થતાં બંધ કરવું પડ્યું છે.
સ્થાનિક લોકો મુશ્કેલીમાં, રાહદારીઓ જીવના જોખમે
પુલ તૂટી જતાં સ્થાનિક લોકોને રોજિંદી જિંદગી માટે 40 કિલોમીટરના ચક્કર લગાવવા પડે છે. વિકલ્પે વાહનો મૂકીને રેલવે ટ્રેક પરથી જીવના જોખમે પસાર થવું પડે છે. ચોમાસાની શરૂઆતમાં જ તંત્રનો બાંધકામનો દાવો નિષ્ફળ જતાં રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા છે.
કલેક્ટરની મુલાકાત અને તાત્કાલિક પ્રતિબંધ
પરિસ્થિતિ ગંભીર બનતાં છોટાઉદેપુરના કલેક્ટરે ઘટના સ્થળે પહોંચી તિરાડો તથા ગાબડાં તપાસ્યા. તાત્કાલિક અસરથી ડાયવર્ઝન બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો અને સ્ટ્રક્ચરલ રિપોર્ટ આવ્યા બાદ જ આગળનો માર્ગ નક્કી કરાશે, તેમ જણાવી દીધું.
18મી સદી જેવી હાલત
છોટાઉદેપુરમાં રસ્તાની ખરાબ હાલતને કારણે તાજેતરમાં જ એક ગર્ભવતી મહિલાને ઝોળીમાં બેસાડી 4 કિલોમીટર સુધી લઈ જવાની ઘટના સામે આવી હતી. આવી પરિસ્થિતિએ એ સાબિત કરી દીધું છે કે ‘વિકસિત ગુજરાત’ના દાવાઓ છતાં છોટાઉદેપુર હજુ પણ અવિકસિત જ છે.