Ahmedabad Rath yatra: 8 વર્ષના ઇંતજાર બાદ ત્રિવેદી પરિવાર બન્યો યજમાન, રાજસ્થાની વસ્ત્રો, દાગીના અને વિશેષ વાઘાની તૈયારીઓ
Ahmedabad Rath yatra: અમદાવાદમાં 148મી જગન્નાથ રથયાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. અષાઢી બીજના પાવન અવસરે ભગવાન જગન્નાથ મંદિરથી બહાર ભક્તોને મળવા આવે છે. એ પહેલા જળયાત્રાના પાવન દિવસે ભગવાન મોસાળ સરસપુરમાં મામેરું ભરાવવા પધારે છે. આજે રણછોડરાય મંદિરે મામેરાના દર્શન માટે ભક્તોની ભીડ ઉમટી હતી.
8 વર્ષની રાહ બાદ ત્રિવેદી પરિવાર બન્યો યજમાન
વાસણાની જાગૃતિબેન ત્રિવેદીએ જણાવ્યું કે તેમનો પરિવાર છેલ્લા 8 વર્ષથી યજમાન બનવા રાહ જોતો હતો. હવે એ અવસર આવ્યો છે અને સમગ્ર વાસણા ગામ આ ભક્તિમય ઉજવણીમાં જોડાશે.
મામેરાની ભવ્ય તૈયારી
યજમાન પરિવાર દ્વારા ચાર દિવસીય ઉત્સવનું આયોજન કરાશે. ત્રિવેદી પરિવારની દીકરીઓ ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા તથા ભાઈ બલરામ માટે દાગીના તથા વાઘાની તૈયારીમાં જોડાઈ છે. લગ્ન પ્રસંગ જેવી જ આ ભવ્ય તૈયારીમાં રાજસ્થાની વસ્ત્રો, મોરપીંછ કલરના વાઘા, ગોલ્ડન મોર પ્રિન્ટ, એમ્બ્રોડરી જરદોશી, કસબ તથા ગોટાપટ્ટી વર્ક કરવામાં આવી રહ્યા છે.
ભક્તો માટે ખાસ દર્શન
ભગવાન જગન્નાથના મામેરાના દર્શન માટે સરસપુરમાં ભક્તોને રાત્રે 8 વાગ્યા સુધી તક આપવામાં આવી છે.