Plane Crash Ahmedabad 1988: 12 જૂનની દુર્ઘટના અને જૂની યાદો તાજી
Plane Crash Ahmedabad 1988: 12 જૂન, અમદાવાદના મેઘાણીનગરમાં થયેલી પ્લેન દુર્ઘટના આખી દુનિયામાં ચર્ચાનો વિષય બની. આ ઘટનાની તસવીરો અને વીડિયો દુનિયાભરમાં વાયરલ થયા, જેને જોઇ ભલભલા કઠણ દિલવાળા લોકો પણ હચમચી ગયા. આ ભયાનક દુર્ઘટનાએ 1988માં અમદાવાદમાં થયેલી પ્લેન ક્રેશની યાદો તાજી કરી દીધી છે.
1988ના પ્લેન ક્રેશમાં ગુજરાત વિદ્યાપીઠનો અદ્ભુત બચાવ
1988માં અમદાવાદના કોતરપુર નજીક પ્લેન ક્રેશ થયો હતો. એ સમયે ગુજરાત વિદ્યાપીઠના રજિસ્ટ્રાર વિનોદ ત્રિપાઠી મુંબઈથી વિદ્યાર્થીઓના ડિગ્રી સર્ટિફિકેટ પર તત્કાલીન કુલપતિ મોરારજી દેસાઈની સહી કરાવી અમદાવાદ આવી રહ્યા હતા. એ સમયે થયેલી દુર્ઘટનામાં વિનોદ ત્રિપાઠી ચમત્કારિક રીતે બચી ગયા હતા, જોકે તેમના હાથમાં રહેલા ડિગ્રી સર્ટિફિકેટમાંના કેટલાક સંપૂર્ણપણે બળી ગયા હતા.
બચેલા ડિગ્રી સર્ટિફિકેટ આજ સુધી સુરક્ષિત
આ દુર્ઘટનામાં લગભગ 150 ડિગ્રી સર્ટિફિકેટમાંના 79 સર્ટિફિકેટ અંશતઃ બચી ગયા હતા. એ સમયે પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યા બાદ, આ સર્ટિફિકેટ બાદમાં ગુજરાત વિદ્યાપીઠને પાછાં આપવામાં આવ્યા હતા. આજે પણ એ બળેલા સર્ટિફિકેટ વિદ્યાપીઠના સંગ્રહાલયમાં સુરક્ષિત રાખવામાં આવ્યા છે.
સ્મૃતિરૂપે સચવાયેલા પુરાવાઓ
12 જૂનની તાજી પ્લેન દુર્ઘટનાની પૃષ્ઠભૂમિમાં, 1988ના પ્લેન ક્રેશની ઘટનાના પુરાવાઓ ફરી ચર્ચામાં આવી ગયા છે. ગુજરાત વિદ્યાપીઠના મ્યુઝિયમ કો-ઓર્ડિનેટર અદ્વેતા દવેએ જણાવ્યું કે એ સમયે બચેલી ડિગ્રી પોલીસે જપ્ત કરી હતી અને બાદમાં વિદ્યાપીઠને સોંપી હતી. એ તમામ સર્ટિફિકેટ આજ સુધી વિદ્યાપીઠના સંગ્રહાલયમાં સુરક્ષિત રાખવામાં આવ્યા છે.