Maharashtra પોલીસની બળજબરી સામે વિરોધ, ચર્ચામાં NCP નેતાઓ અને ઉચ્ચ અધિકારીઓ હાજર
Maharashtra મુંબઈ – મહારાષ્ટ્રમાં મસ્જિદો પરથી લાઉડસ્પીકર હટાવવાનો વિવાદ હાલ ગરમાયો છે. આ સંદર્ભમાં આજે 25 જૂન, બુધવારે સવારે 8:30 વાગ્યે મુંબઈના સહ્યાદ્રી ગેસ્ટ હાઉસ ખાતે નાયબ મુખ્યમંત્રી અજિત પવારની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં મસ્જિદોમાં લાઉડસ્પીકર દૂર કરવાની પોલીસની કામગીરી સામે મુસ્લિમ સંગઠનો દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવી.
બેઠકમાં NCP નેતા નવાબ મલિક, સના મલિક, ઝીશાન સિદ્દીકી અને સપા ધારાસભ્ય અબુ આઝમી ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ રાજ્ય પોલીસ વડા રશ્મિ શુક્લા અને મુંબઈ પોલીસ કમિશનર દેવેન ભારતી પણ હાજર હતા.
પોલીસની બિનન્યાયિક કાર્યવાહીનો આરોપ
મુસ્લિમ સંગઠનોનું કહેવું છે કે તાજેતરમાં ઘણા વિસ્તારોમાં પોલીસ દ્વારા મસ્જિદોના લાઉડસ્પીકર વિનામાપ અને પૂર્વચેતવણી હટાવવામાં આવ્યા છે. તેમનો દાવો છે કે હાઈકોર્ટની માર્ગદર્શિકામાં અવાજના સ્તર માટે 45થી 56 ડેસિબલની મર્યાદા નિર્ધારિત છે, છતાં પોલીસે આ નક્કી કરેલી મર્યાદા અનુસાર કોઈ ચકાસણી કર્યા વિના જ કાર્યવાહી શરૂ કરી છે.
સંગઠનોનું મંતવ્ય છે કે જો કોઇ મસ્જિદ નિયમોનું ઉલ્લંઘન કરે છે, તો પહેલાં નોટિસ આપવામાં આવવી જોઈએ, ત્યારબાદ કાયદેસરની પ્રક્રિયા થવી જોઈએ. સીધી રીતે કાર્યવાહી કરવી અન્યાયિક ગણાય છે.
અબુ આઝમીએ ભાજપ નેતા પર આક્ષેપ કર્યા
અબુ આઝમીએ ભાજપ નેતા કિરીટ સોમૈયા પર આરોપ મૂક્યો કે તેમણે ગોવંડી જેવા મુસ્લિમ બહુલ વિસ્તારોમાં જઈ પોલીસ પર લાઉડસ્પીકર હટાવવાના દબાણ ઊભું કર્યું છે. સંગઠનોના દાવા મુજબ, પોલીસ પર આ રાજકીય દબાણના કારણે એકતરફી કાર્યવાહી થઈ રહી છે.
અજિત પવારથી ન્યાયની અપેક્ષા
મુસ્લિમ સંગઠનોના મતે, મહાયુતિ સરકારમાં અજિત પવાર એકમાત્ર એવા નેતા છે, જેઓએ સતત બિનસાંપ્રદાયિક વલણ રાખ્યું છે. મીરા રોડ રમખાણો, સતારાની ઘટના અને વિશાલગઢના મકાનો તોડવા જેવી ઘટનાઓમાં પણ પવારની ભૂમિકા સંતુલિત રહી છે. સંગઠનો આશા રાખે છે કે આ મામલે પણ તેઓ પોલીસની બળજબરી સામે ન્યાયસંગત વલણ દાખવશે.