Ahmedabad Rath Yatra AI Crowd Management : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષપદ હેઠળ ગૃહ વિભાગની બેઠક
Ahmedabad Rath Yatra AI Crowd Management : અમદાવાદમાં 148મી રથયાત્રાની તૈયારી પુરજોશમાં ચાલી રહી છે. શાંતિ અને સલામતી જળવાઈ રહે એ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર સચિવાલય ખાતે ગૃહ વિભાગ સાથે બેઠક યોજી હતી. બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મુખ્ય સચિવ પંકજ જોષી, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ.કે. દાસ, પોલીસ મહાનિદેશક વિકાસ સહાય સહિત અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિક તથા મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.
16 કિમીના રૂટ પર તગડી પોલીસ બંદોબસ્ત
રથયાત્રાના 16 કિલોમીટર લાંબા રૂટ પર શાંતિ તથા સુરક્ષા જળવાઈ રહે એ માટે શહેર પોલીસ દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી સહિત તમામ અધિકારીઓએ સુરક્ષા તૈયારી અંગેનું પ્રેઝન્ટેશન નિહાળ્યું હતું.
પ્રથમ વખત AIનો ઉપયોગ ક્રાઉડ તથા ફાયર મેનેજમેન્ટ માટે
આ વર્ષે પહેલી વખત રથયાત્રાના માર્ગ પર AI ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. ‘ક્રાઉડ એલર્ટ’ સિસ્ટમથી કોઈ જગ્યાએ ભીડ વધારે થઈ જાય તો AI દ્વારા એ અંગે તરત જ ચેતવણી આપવામાં આવશે, જેથી ભીડ નિયંત્રિત કરી શકાય. એ ઉપરાંત ‘ફાયર એલર્ટ’ સિસ્ટમથી આગ લાગવાની ઘટનાઓ પર ઝડપી કાર્યવાહી શક્ય બનશે.
SRP, ચેતક કમાન્ડો સહિત 24,000 પોલીસ કર્મચારીઓ તહેનાત
રથયાત્રાની સુરક્ષા માટે IG સ્તરથી લઈને SRP, ચેતક કમાન્ડો, રેપિડ એક્શન ફોર્સ સહિત કુલ 23,884 પોલીસ કર્મચારીઓ તહેનાત રહેશે. રથયાત્રાની સાથે જોડાયેલા રથો, ટ્રક, અખાડા, ભજન મંડળીઓ તથા મહંતોની સુરક્ષા માટે 4,500 જેટલા પોલીસકર્મીઓ મુવિંગ બંદોબસ્તમાં તહેનાત રહેશે.
ટ્રાફિક મેનેજમેન્ટ માટે ખાસ આયોજન
શહેરમાં ટ્રાફિક અવરોધ નિવારવા માટે ટ્રાફિક બ્રાન્ચના જોઈન્ટ પોલીસ કમિશનરના નેતૃત્વ હેઠળ 1,000થી વધુ પોલીસ જવાન તહેનાત રહેશે. 23 ક્રેઇનો ઉપરાંત 16 કિમીના રૂટ પર 227 કેમેરા, 41 ડ્રોન, 2,872 બોડીવૉર્ન કેમેરા તથા 25 વૉચ ટાવરની વ્યવસ્થા કરવામાં આવી છે.
મજબૂત દેખરેખ અને નિયંત્રિત વાતાવરણ
16 કિમી લાંબા સમગ્ર રૂટ પર પોલીસ કંટ્રોલરૂમ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવશે, જેથી કોઇ અણધારી ઘટના બનતી અટકાવી શકાય. આ તમામ પ્રયાસો અમદાવાદમાં યોજાનારી 148મી રથયાત્રાને શાંતિપૂર્ણ તથા સુરક્ષિત બનાવશે.