Valsad: વલસાડ કલેક્ટર તંત્રની શંકાસ્પદ ભૂમિકાની તપાસ કરવા થઈ રહી છે માંગણી
Valsad વલસાડના પાથરી ગામે કરોડો રુપિયાની જમીનના વિવાદમાં ફેબ્રુઆરીની ત્રીજી તારીખે સત્ય ડે દ્વારા પેઢીનામાની કાયદેસરતા અંગે મોટો ઘટસ્ફોટ કર્યો હતો અને ડેપ્યુટી કલેક્ટર કુકડીયાએ નામંજુર કરેલું પેઢીનામું કેવી રીતે પાછળથી મંજુર કરવામાં આવ્યું તે અંગે વિગતવાર રિપોર્ટ પ્રકાશિત કર્યો હતો. આજે પાંચ મહિનાનો સમયગાળો વીતી ગયો હોવા છતાં પાથરી ગામની પારસીની જમીનની વારસાઈ અંગે કલેક્ટર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા ફરી એક વખત કલેક્ટર તંત્ર સવાલોના ઘેરામાં આવી ગયું છે.
પુરાવા સહિતના અહેવાલમાં પારસી પરિવારના બોગસ પેઢીનામા અંગે તત્કાલિન ડેપ્યુટી કલેક્ટર કુકડીયા દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીની વિગતો બહાર આવી છે. આ વિગતોમાં ડે. કલેક્ટરે દુત્યા પરિવારના રજૂ કરવામાં આવેલા પેઢીનામને નામંજુર કરી દીધું હતું અને અરજીને ફગાવી દીધી હતી. પંરતુ પાછળથી જમીન બોગસ પેઢીનામું બનાવીને જમીન ખરીદનાર બિલ્ડરે કલેક્ટર તંત્ર સાથે મેળાપીપણું કરીને વારસાઈ 7/12માં ચઢાવીને બારોબાર જમીન વેચવા કાઢી હોવાની સનસનાટીપૂર્ણ માહીતી જાણવા મળી રહી છે.
વિગતો મુજબ 11-7-2021માં 1955માં અવસાન પામેલા પાથરીના સરવે નંબર 416(157) અને 428(157)ની જમીનના પારસી માલિક હોરમસજી શાપુરજી દુત્યા અપરિણીત હોવાથી નિં:સંતાન હતા. આમ તેમના કોઈ વાલી વારસો ન હતા. છેક 2021માં તેમની બહેનના વારસદારો તરીકે રતિ અરદેશર દુત્યા અને ભાણેજ તરીકે બખ્તાવર અરદેશર દુત્યા અચાનક આ જમીનમાં વારસદાર બનીને બહાર આવ્યા હતા. બે વારસદારોના નામ આ જમીનમાં દાખલ કરવા માટે પ્રાંત કચેરીમાં તે વખતના નાયબ કલેક્ટર નિલેશ કુકડીયાની સમક્ષ અરજી કરવામાં આવી હતી.
આ અંગે નાયબ કલેક્ટર દ્વારા તમામ પ્રકારની ચકાસણી કરીને
જમીન અંગે વારસાઈ કરવા માટેના જરુરી પુરાવા અરજદારો પાસે માંગ્યા હતા પરંતુ અરજદારો દ્વારા જમીન અંગે વારસાઈ હક માટેના પુરાવા નાયબ કલેક્ટર કુકડીયાને સંતોષકારક લાગ્યા ન હતા અને તેમણે 9-7-2021નાં રોજ બન્ને વારસદારોની વારસાઈને અગ્રાહ્ય એટલે નામંજુર કરી ફગાવી દીધી હતી.
સૂત્રો દ્વારા મળી રહેલી માહિતી મુજબ આખીય જમીનમાં પેઢીનામાનો ખેલ રાજુ શેરા નામની વ્યક્તિના ઈશારે કરવામાં આવ્યો છે. હવે નાયબ કલેક્ટર દ્વારા પેઢીનામાને રિજેક્ટ કરી દેવામાં આવ્યો હોય તેવા સંજોગોમા પેઢીનામાને ક્યા આધારે 7/12માં નોંધણી કરી ચઢાવી દેવામાં આવ્યો છે તે અંગે વધુ સ્ફોટક વિગતો બહાર આવવાની શક્યતા નકારી શકાતી નથી. સમગ્ર પ્રકરણમાં તે સમયના કલેક્ટર ક્ષિપ્રા આગ્રેની ભૂમિકા પણ શંકાના દાયરામાં આવી જવા પામી છે.કલેક્ટર ક્ષિપ્રા આગ્રે દ્વારા કેવી રીતે પેઢીનામું મંજુર કરવામાં આવ્યું છે તેની હજુ સુધી કોઈ તપાસ કરવામાં ન આવતા વલસાડ સહિત પાથરી ગામમાં આ વિવાદ ચર્ચાની ચાકડે છે.
હવે આવનાર દિવસોમાં આ જમીનની વારસાઈને કાયદેસર રીતે કોર્ટમાં પડકારવાની તૈયારીઓ કરવામાં આવી હોવાની માહિતી મળી રહી છે.