Jagannath Rathyatra: 17 હાથીઓનું સતત આરોગ્ય મોનિટરિંગ શરૂ, વનવિભાગની ટીમ પણ તૈનાત
Jagannath Rathyatra: 148મી રથયાત્રા હવે માત્ર બે દિવસ દૂર છે, અને અમદાવાદના જગન્નાથ મંદિરમાં ભવ્ય આયોજનની તૈયારીઓ આખરી તબક્કામાં છે. રથયાત્રામાં હંમેશાની જેમ આ વખતે પણ શણગારેલા હાથીઓ લોકોનું મુખ્ય આકર્ષણ રહેશે. આ વર્ષે કુલ 17 હાથીઓ રથયાત્રામાં ભાગ લેશે, જેઓના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની ખાસ ચકાસણી શરૂ કરવામાં આવી છે.
આ હાથીઓનું ચેકઅપ અમદાવાદ જિલ્લા પશુપાલન વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યું છે. નાયબ પશુપાલન નિયામક સુકેતુ ઉપાધ્યાયની દેખરેખ હેઠળ તેમના આરોગ્યનું સતત મોનિટરિંગ થાય છે. આજથી લઈને રથયાત્રા સુધી દરેક હાથીને ડેઈલી હેલ્થ ચેકઅપ આપવામાં આવશે, જેમાં ખાસ કરીને કોઈ ઈન્ફેક્શન, ચામડીના રોગો અથવા માનસિક અસ્વસ્થતા જેવી બાબતો પર ધ્યાન અપાય છે.
વેટરનરી ટીમ દ્વારા હાથીઓને હેલ્થ સર્ટિફિકેટ પણ આપવામાં આવે છે. માખી, ઇતરડી જેવા જીવાતોથી રક્ષણ માટે સ્પ્રે કરવામાં આવે છે. કોઈ હાથી બીમાર જણાય તો તાત્કાલિક સારવાર પણ શરૂ કરવામાં આવે છે.
રથયાત્રા દરમિયાન પણ એક ખાસ ટીમ હાથીઓ સાથે રહેશે, જેમાં પશુપાલન અને વન વિભાગ બંનેના અધિકારી સામેલ રહેશે. જો કોઈ હાથી તણાવમાં આવે કે ગુસ્સે થવાનું સંકેત આપે, તો એવા સંજોગોમાં વન વિભાગની ટીમ ડાર્ટ ગન સહિતની તકેદારીઓ સાથે હાજર રહેશે.
આમ, રથયાત્રાની શોભા વધારતા ગજરાજોની સલામતી અને આરોગ્ય માટે દરેક જરૂરી પગલાં લેવામાં આવી રહ્યાં છે