Koidam reservoir collapse threat : રૂ. 1.50 કરોડના કામમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ
Koidam reservoir collapse threat : મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના કોઈડમ ગામમાં આવેલું તળાવ હાલ જર્જરિત હાલતમાં છે. ગામલોકોમાં ભયનો માહોલ છે કે ચોમાસાની ઋતુમાં તળાવ તૂટી શકે છે. તળાવનો દરવાજો લાંબા સમયથી લીક થઈ રહ્યો હતો, અને વરસાદનું મોટું પાણી કોતરોમાં વહી જતું હતું. ગામલોકો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે કે જો તળાવ તૂટી જશે તો આસપાસના 20થી વધુ ગામો પાણીમાં ગરકાવ થઈ શકે છે.
સરકારી ખર્ચ છતાં કામમાં ગડબડ
આ પરિસ્થિતિનો સામનો કરવા સરકાર દ્વારા તળાવના ગેટ અને પાટાની મરામત માટે રૂ. 1.50 કરોડનો ખર્ચ મંજૂર કરાયો હતો. પરંતુ કામમાં વપરાયેલા મટિરિયલ પર ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા છે. ગામલોકોનો દાવો છે કે તળાવના પાટાના કામ માટે નીચી ગુણવત્તાની રેતી, કપચી અને સિમેન્ટનો ઉપયોગ થયો છે. કોન્ટ્રાક્ટર અગાઉ પણ ‘વાસ્મો’ યોજનામાં ભ્રષ્ટાચાર માટે બ્લેકલિસ્ટ થઈ ચૂક્યો હોવા છતાં તેને ફરી કામ આપવામાં આવ્યું હતું.
સામાન્ય વરસાદમાં જ પાટો ધોવાઈ ગયો
કામ પૂર્ણ થયા બાદ જ સામાન્ય વરસાદમાં પાટાની આસપાસ ભરાયેલી માટી ધોવાઈ ગઈ, જેમાં મોટા ખાડા પડી ગયા છે. ગામલોકો કહે છે કે ચોમાસાની ઋતુમાં વધુ વરસાદ થશે તો પાટો તૂટી જશે અને 20-30 ગામોમાં પાણી ફરી વળે તેવી પરિસ્થિતિ સર્જાશે. તેઓ તાત્કાલિક તપાસ તથા જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે.
અધિકારીઓનો જવાબ અને ગામલોકોનો વિરોધ
નાની સિંચાઈ વિભાગના અધિકારી એ.આર. શાહનું કહેવું છે કે ખરાબ મટિરિયલ દૂર કરીને હવે સારું મટિરિયલ વાપરાયું છે, જેમાં 53 ગ્રેડનો સિમેન્ટ, મોટી કપચી તથા મજબૂત લોખંડનો ઉપયોગ થયો છે. તેમ છતાં, ગામલોકોનો આક્ષેપ છે કે અધિકારીઓ કોન્ટ્રાક્ટરની તરફેણમાં કામ કરી રહ્યા છે. તેઓ તળાવના કામની ત્રીજી પક્ષ દ્વારા તપાસ અને કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવાની માંગ કરી રહ્યા છે.
તળાવ તૂટી જશે તો જવાબદાર કોણ?
ગામલોકોનો કહેવું છે કે તળાવ તૂટી જતાં આસપાસના ગામોમાં મોટા પ્રમાણમાં જાનમાલનું નુકસાન થશે, જે માટે જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર જ રહેશે. તેઓએ એ પણ જણાવ્યું કે તેઓ કોઇપણ હાલતમાં ગુણવત્તાની તપાસ વિના કામ સ્વીકારશે નહીં.
હવે આગળ શું?
તંત્રએ તાત્કાલિક કેટલાંક ભાગોમાં મટિરિયલ બદલી નાખ્યું છે, પરંતુ ગામલોકો હજુ સંતોષમાં નથી. તેઓ ત્રીજા પક્ષ દ્વારા તપાસ અને કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી માંગે છે. હવે જોવાનું એ રહ્યું કે આ મામલે તંત્ર કયા પગલાં ભરે છે અને તળાવનો ભય દૂર કરવા શું કરે છે.