Rajnath Singh ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ કરીને વિશ્વને ચેતવણી
Rajnath Singh ચીનના કિંગદાઓ શહેરમાં યોજાયેલી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સંમેલન દરમિયાન ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે આતંકવાદ વિરુદ્ધ ભારતની મજબૂત અને અડગ ભૂમિકા રજૂ કરી. તેઓએ પોતાના સંબોધનમાં ‘ઓપરેશન સિંદૂર’ નો ખાસ ઉલ્લેખ કરતાં કહ્યું કે, “આતંકવાદના કેન્દ્રો હવે સુરક્ષિત નથી અને અમે તેમને નિશાન બનાવવામાં અચકાઈશું નહીં.”
રાજનાથ સિંહે ચીનની ધરતી પરથી સમગ્ર વિશ્વને આતંકવાદ વિરોધી દૃઢ સંદેશ આપતા કહ્યું કે આ લડાઈમાં ભારત સંકોચ કર્યા વિના દરેક પગલું ઉઠાવશે. તેમના આ નિવેદનને આંતરરાષ્ટ્રીય સ્તરે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે, ખાસ કરીને એવા સમયે જ્યારે આતંકવાદની સમસ્યા ફરીથી અનેક પ્રદેશોમાં માથું ઊંચું કરી રહી છે.
પહેલગામ હુમલાનો ઉલ્લેખ – લશ્કરનું પ્રોક્સી ‘TRF’ જાહેર કરાયું જવાબદાર
પહેલગામમાં 22 એપ્રિલ 2025ના રોજ થયેલા ક્રૂર આતંકી હુમલાની પણ રાજનાથ સિંહે ઊલ્લેખ કર્યો. તેમણે જણાવ્યું કે, દ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) નામના આતંકી જૂથે નિર્દોષ પ્રવાસીઓ પર હુમલો કર્યો હતો જેમાં એક નેપાળી નાગરિક સહિત 26 લોકોના દુઃખદ મોત થયા હતા. આ હુમલો લશ્કર-એ-તૈયબાના પ્રોક્સી સંગઠન દ્વારા અમલમાં લાવવામાં આવ્યો હતો, જે વિશ્વભરમાં યુએન દ્વારા આતંકવાદી જૂથ તરીકે ઓળખાય છે.
રાજનાથસિંહે જણાવ્યું કે પીડિતોને તેમની ઓળખ પુછ્યા પછી ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી – જે આતંકવાદની નૃશંસ અને દુર્ઘટનાપૂર્ણ ચહેરો દર્શાવે છે.
શાંતિ અને સુરક્ષા માટે સહયોગનો આહવાન
આ બેઠક દરમિયાન, રાજનાથસિંહે આવનારા ભવિષ્ય માટેના પડકારોની પણ ચર્ચા કરી. તેમણે જણાવ્યું કે શાંતિ, સુરક્ષા અને વિશ્વાસના અભાવના મૂળમાં આતંકવાદ, કટ્ટરવાદ અને ઉગ્રવાદનો વધારો છે. આ તત્ત્વો માત્ર એક દેશ માટે નહીં, પણ સમગ્ર વિશ્વ માટે ખતરો છે.
તેમણે તમામ સભ્ય દેશોને શાંતિ સ્થાપનામાં સહયોગ આપવા અપીલ કરી અને આતંકવાદના ઉખાડવા માટે સંકલ્પબદ્ધ થવા કહ્યું.
SCO સમિટમાં ભારતે પોતાના પ્રતિરક્ષણ દ્રષ્ટિકોણની માત્ર વાત કરી નથી, પરંતુ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે આતંકવાદ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવશે. ‘ઓપરેશન સિંદૂર’ જેવી કાર્યવાહી દ્રષ્ટાંતરૂપ છે કે ભારત આતંકના ઝેરી મૂળને નાબૂદ કરવા કોઈ કસૂર છોડશે નહીં.