Indus Water Treaty dispute કિશનગંગા અને રાતલે પ્રોજેક્ટ્સ મુદ્દે ભારતનું સ્પષ્ટ વલણ
Indus Water Treaty dispute નવી દિલ્હી – ભારતે હેગ સ્થિત મધ્યસ્થી અદાલતના તાજેતરના નિર્ણયો સામે કડક વલણ અપનાવ્યું છે અને સિંધુ જળ સંધિ (IWT) અંતર્ગત કરવામાં આવેલ”પૂરક એવોર્ડ”ને સંપૂર્ણપણે નકાર્યો છે. આ નિર્ણય જમ્મુ અને કાશ્મીર સ્થિત કિશનગંગા અને રાતલે જળવિદ્યુત પ્રોજેક્ટ્સ સાથે સંબંધિત છે, જેમાં પાકિસ્તાનએ તેમની ડિઝાઇન સામે વાંધા ઉઠાવ્યા હતા.
ભારતે જણાવ્યું છે કે તે મધ્યસ્થી અદાલતના અસ્તિત્વ અને તેના નિર્ણયોને કાયદેસર રીતે માન્ય માનતું નથી. વિદેશ મંત્રાલયએ કહ્યું કે આ પ્રકારની કાર્યવાહી સિંધુ જળ સંધિ, 1960ની જોગવાઈઓનું ઉલ્લંઘન કરે છે અને તે આ પ્રક્રિયાને સંપૂર્ણપણે ગેરકાયદેસર માને છે.
પાકિસ્તાનની ‘કાનૂની જીત’ની દાવેદારી
પાકિસ્તાને આ નિર્ણયને “મહત્વપૂર્ણ કાનૂની સફળતા” તરીકે બિરદાવી છે અને જણાવ્યું કે ભારત સંધિ એકતરફી રીતે સ્થગિત કરી શકે નહીં. શનિવારે જાહેર કરાયેલા નિવેદનમાં પાકિસ્તાને જણાવ્યું કે તે ભારત સાથે અર્થપૂર્ણ વાતચીત કરવા માટે તૈયાર છે અને સિંધુ જળ સંધિ સંબંધિત તમામ વિવાદોનું ઉકેલ લાવવા ઈચ્છે છે.
ભારતનો પાકિસ્તાન પર ગંભીર આરોપ
વિદેશ મંત્રાલયે આ મુદ્દે પાકિસ્તાન પર આક્ષેપ કરતા કહ્યું કે પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય મંચો પર “નાટકીયતા અને હેરાફેરી”ના પોતાના દાયકાઓ જૂના વલણને જારી રાખી રહ્યું છે.પાકિસ્તાને મધ્યસ્થી પ્રક્રિયાનો ઉપયોગ આતંકવાદ માટેની પોતાની જવાબદારીમાંથી બચવા માટે કર્યો છે.
વિદેશ મંત્રાલયે સ્પષ્ટ રીતે કહ્યું કે, “નિર્ણય અને તેની પ્રક્રિયા સંધિનું ઉલ્લંઘન છે. તેથી, તેનું કોઈ કાનૂની મહત્વ નથી.”
22 એપ્રિલે પહેલગામમાં આતંકી હુમલા પછી, ભારતે પાકિસ્તાન સામે વિવિધ દંડાત્મક પગલાં લીધા, જેમાં સિંધુ જળ સંધિને સ્થગિત કરવાનો નિર્ણય પણ શામેલ હતો. ભારતના જણાવ્યા અનુસાર, પાકિસ્તાન સાથે વિવાદ નિવારણ માટે તેણે ક્યારેય માળખાને માન્યતા આપી નથી.