Stamp Duty Rebate for Housing Transfers: મધ્યમ વર્ગને મળી નાણાકીય બોજમાંથી મુક્તિની ભેટ
Stamp Duty Rebate for Housing Transfers: ગુજરાત સરકાર દ્વારા સોસાયટીઓમાં મકાનની તબદીલી પર લાગતી સ્ટેમ્પ ડ્યુટીમાં ભારે છૂટનો મોટો નિર્ણય લેવાયો છે. હવે એલોટમેન્ટ લેટર કે શેર સર્ટિફિકેટના આધારે જે મકાન ટ્રાન્સફર થશે, તેના પર 80 ટકા સુધીની ડ્યુટી માફ કરવામાં આવશે.
શેર સર્ટિફિકેટના આધારે ટ્રાન્સફરમાં હવે માત્ર 20% ડ્યુટી વસૂલાશે
ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ, 1958ની કલમ 9(ક) અનુસાર સરકાર દ્વારા કરવામાં આવેલા ફેરફાર અનુસાર, સોસાયટી, એસોસિએશન અથવા નોન-ટ્રેડિંગ કોર્પોરેશન દ્વારા મકાન ટ્રાન્સફર કરવામાં આવે ત્યારે કુલ ભરપાઈ કરવાની ડ્યુટીમાંથી હવે માત્ર 20% ડ્યુટી અને દંડ મળી વસૂલાશે.
ડ્યુટી સિવાય હવે વધારાની દંડરાશિ લાગુ નહીં પડે
આ પ્રકારના ટ્રાન્સફરમાં નાગરિકોને ડ્યુટી ઉપરાંત દંડ પણ ભરવો પડતો હતો, જેને લઈને નાણાકીય બોજ વધી જતા હતા. હવે સરકારના નવા નિર્ણય અનુસાર, જો ડ્યુટીનું માત્ર 20 ટકા ચુકવવામાં આવશે તો દંડની અલગથી કોઈ પણ વધારાની રકમ વસૂલવામાં નહીં આવે.
જોગવાઈ માત્ર સોસાયટીઓ અને નોન ટ્રેડિંગ સંગઠનો માટે
આ છૂટ માત્ર કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીઓ, એસોસિએશન અથવા નોન-ટ્રેડિંગ કોર્પોરેશન્સ માટે જ લાગુ પડશે, જે પોતાની મિલકત ટ્રાન્સફર માટે શેર સર્ટિફિકેટ કે એલોટમેન્ટ લેટરનો આધાર લે છે. અન્ય પ્રકારની ટ્રાન્સફર પ્રક્રિયા પર આ છૂટ લાગુ પડશે નહીં.
સ્ટેમ્પ ડ્યુટીમાં ઘટાડો લાવશે મિલકત વ્યવહારોમાં રાહત
રાજ્યના મહેસૂલી વિભાગ દ્વારા કરાયેલ આ નિર્ણયથી ખાસ કરીને મધ્યમ વર્ગના લોકોના માટે મકાન ટ્રાન્સફર કરવી વધુ સરળ બનશે અને તેઓએ વધુ ખર્ચ વિના સરળતાથી માલિકીના દસ્તાવેજ બદલાવી શકશે.
આ નિર્ણય ગુજરાતના હજારો મધ્યમ વર્ગીય પરિવારો માટે રાહતરૂપ સાબિત થશે. હવે નાની તબદીલીઓ પર પણ મોટો ખર્ચ નહી થાય, જે નાગરિકોને પોતાના ઘરની માલિકીની દસ્તાવેજ પ્રક્રિયામાં નાણા બચાવવાની તક આપશે.